ભુજ, તા. 2 : ભુજ
કોમર્શિયલ બેંકની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા બેંકના ડાયરેક્ટર્સના રાજીનામા લેવાના
બનાવટી પત્રના ચકચારી પ્રકરણમાં આ કામના આરોપી ગિરીશકુમાર કનૈયાલાલ ઠક્કર (ઉ.વ. 51 રહે. વેરાવળ)ને પોલીસે ઝડપી પાડયો છે. પ્રાથમિક પૂછતાછમાં
તેના ભુજના મિત્ર-સંબંધીએ આવું કરવા પ્રેર્યાનું સામે આવતાં આગામી સમયમાં સ્થાનિક કડીઓ
ખૂલવાની સંભાવના સામે આવી છે. આ ચકચારી પ્રકરણની ત્રણ દિવસ પૂર્વે નોંધાયેલી ફરિયાદની
વિગતો મુજબ બેંકના સભાસદ દિનેશના નામથી બેંક પત્ર મળ્યો હતો, જેમાં આઠ વર્ષ જૂના ડાયરેક્ટર હિતેષ ચત્રભુજ ઠક્કર અને કલ્પેશ રવિલાલ ઠક્કરના
રાજીનામા લેવા જણાવાયું હતું. આ બાદ પણ દિનેશની જ આઇ.ડી. પરથી અમદાવાદના ડિપાર્ટમેન્ટ
ઓફ સુપરવિઝનની આઇ.ડી. તેમજ આરબીઆઇના પત્ર ક્રમાંકના હવાલા આપી રાજીનામા લેવા જણાવતા
પત્ર મેઇલ કરવામાં આવ્યા હતા. આ બાદ અનિલ શાહની નામની આઇ.ડી. પરથી બેંકના ડાયરેક્ટર
ચેતન રવિલાલ શાહના નામનો પત્ર એટેચ કરી રાજીનામા લેવાનો મેઇલ મળ્યો હતો. સભાસદ દિનેશ
અને ડાયરેક્ટર ચેતનભાઇએ બેંકને લેખિતમાં જણાવ્યું હતું કે, તેમણે
આવો કોઇ પત્ર મેઇલ કર્યો નથી અને તેમના નામનો ગેરઉપયોગ કરાયો છે. આમ, આ પ્રકરણમાં ત્રણ દિવસ પૂર્વે ત્રણ વિવિધ આઇ.ડી.ધારકે બનાવટી પત્રથી ડાયરેક્ટર્સના
રાજીનામા લેવા બેંકની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના કૃત્ય બદલ એ-ડિવિઝન પોલીસ મથકે
ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ સાયબર ક્રાઇમ સેલ (એલસીબી)ના પીઆઇ હર્ષ દેવમણિને
સોંપાઇ હતી. તપાસકર્તા દેવમણિને ત્રણે આઇ.ડી.ના ડિજિટલ ફૂટ પ્રિન્ટથી પગેરું દબાવતાં
આરોપીના સઘડ વેરાવળ બાજુ મળ્યા હતા અને આજે આ કામના આરોપી ગિરીશ ઠક્કરને વેરાવળથી ઝડપી
રાતે એ-ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા છે. આરોપી ગિરીશ વેરાવળમાં મ્યુચુઅલ ફંડ અને
વીમામાં રોકાણ કરવા એજન્ટ તરીકેની કામગીરી કરે છે. વર્ષ 2010માં આ આરોપી ગિરીશ વેરાવળની કોમર્શિયલ બેંકમાં ડાયરેક્ટર
તરીકે પણ રહી ચૂક્યો છે. આ કામ માટે તેને ભુજના સંબંધી-મિત્રે પ્રેર્યાનું પ્રાથમિક
પૂછતાછમાં જણાવ્યું હતું. આમ, આવનારા સમયમાં સ્થાનિકના નામો ખૂલતાં
આ પ્રકરણમાં વધુ ધડકા-ભડાકા થવાની સંભાવના જોવાઇ રહી છે.