ગાંધીધામ, તા. 19 : રાપર તાલુકાના ચિત્રોડ ગામમાં
બે મહિના અગાઉ જિલ્લા પુરવઠા અધિકારીએ એક ગોદામમાંથી રાંધણગેસના ઘરેલુ અને કોમર્શિયલ
બાટલા ઝડપી પાડયા હતા. આ પ્રકરણમાં ગાંધીધામ ગેસ એજન્સીના સંચાલક, મેનેજર સહિત ત્રણ લોકો સામે પોલીસ મથકે ફરિયાદ
નોંધાઈ હતી. નૂતન ચિત્રોડ આરોગ્ય મંદિર-2ની બાજુમાં આવેલી ઈમારતમાં જિલ્લા પુરવઠા અધિકારી તથા અન્ય અધિકારીઓએ
આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ ઈમારતના રૂમ નંબર-બેમાંથી 14.2 કિલોના ઘરેલુ રાંધણગેસના ભરેલા
201 બોટલ તથા ખાલી 99 બોટલ અને કોમર્શિયલ 19 કિલોના ખાલી ત્રણ બોટલ કબજે
કર્યા હતા. બોટલના માલિક નવનીત ધરમશી માલીએ આપેલાં નિવેદન મુજબ આ બોટલો નવનીત ગેસ એજન્સી
ગાંધીધામની છે. તેમની તથા એજન્સી વચ્ચે કરાર થયો હતો જે અંતર્ગત નવનીત એજન્સી બોટલો
ફાળવતી હતી અને પોતે વેચાણ કરતી હતી. આ જગ્યાએ સ્ટોક રજિસ્ટર, ખરીદ, વેચાણના હિસાબો,
રજિસ્ટરની નિભાવણી કરાતી ન હોતી. કોઈ પણ જાતના સુરક્ષાનાં સાધનો કે એક્સપ્લોઝિવ
પરવાના અને આગ સુરક્ષા પરવાના વગર અહીં આ બોટલોનું વેચાણ કરાતું હતું. રાપર મામલતદાર
હમીર ભોજાભાઈ વાઘેલાએ ગાંધીધામ નવનીત ગેસ એજન્સીના ભાગીદાર કાશ્મીરાબેન નવનીત આચાર્ય,
મેનેજર રશેષ નવનીત આચાર્ય તથા રાપરના નવનીત ધરમશી માલી વિરુદ્ધ જુદી-જુદી
કલમો તળે ગાગોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે આગળની
તપાસ પોલીસે હાથ ધરી છે.