• શુક્રવાર, 20 જૂન, 2025

મિરજાપર-નખત્રાણા ટોલ રોડ બન્યો ખાડામાર્ગ

ભુજ, તા. 19 : ભુજ-નખત્રાણા ધોરીમાર્ગને ફોરલેન બનાવવાનો નિર્ણય લેવાયો, પરંતુ અત્યારે મિરજાપરથી નખત્રાણા વચ્ચે હયાત રસ્તામાં પડી ગયેલા સેંકડો ખાડાથી વાહનચાલકો ત્રાસી ગયા છે. દેશલપર અને અંગિયા પાસે ટોલટેક્સ ભરવા છતાં ખખડધજ માર્ગની સુધારણા ક્યારે થશે તેવા સવાલ સામે જવાબદારી સંભાળતા જી.એસ.આર.ડી.સી. વિભાગે સ્પષ્ટતા કરી કે, ટૂંક સમયમાં રિસર્ફેસિંગ કામ કરી દેવામાં આવશે. કચ્છના પશ્ચિમ વિસ્તારમાં આવેલા યાત્રાધામ અને જી.એમ.ડી.સી. હસ્તકની કોલસાની ખાણ, સિમેન્ટ ઉદ્યોગોનાં કારણે ભુજ-નખત્રાણા નહીં છેક નારાયણ સરોવર સુધી ફોરલેન રોડની આવશ્યકતા જોવા મળે છે, પરંતુ ભુજ વિભાગના ધારાસભ્ય કેશુભાઇ પટેલના પ્રયાસોના કારણે ભુજથી નખત્રાણા સુધી 45 કિ.મી. સુધી ફોરલેનને મંજૂરી આપવામાં આવી છે. ફોરલેનની મંજૂરી મળી પણ ફોરલેનનું કામ થતાં વાર લાગશે ત્યારે અત્યારે રસ્તામાં મિરજાપરથી દેશલપર સુધી તો સેંકડો ખાડા છે અને તેમાંય ખાડા ભરવા કરાયેલું પેચવર્ક કાર્ય ખાડા કરતાં પણ વધુ અઘરું બન્યું છે. લિગ્નાઇટ અને સિમેન્ટનું પરિવહન કરતી મોટી ગાડીના ચાલકોએ ફરિયાદ કરતાં જણાવ્યું કે, મિરજાપરથી નખત્રાણા વચ્ચે સેંકડો ખાડા છે. રસ્તો જ જાણે ગાયબ હોય એવી રીતે ખાડા પરથી ગાડીઓ દોડે છે. નાની ચાર પૈડાવાળી મોટરોને પણ દોડતાં નાકે દમ આવી જાય છે, તેવું નાના વાહનચાલકોએ જણાવ્યું હતું. ફોરલેન જ્યારે બનશે, પરંતુ અત્યારે તો સમારકામ થવું વહેલીતકે જરૂરી છે. મોટા અને ભારે વાહનો પાસેથી દૈનિક લાખો રૂપિયા ટોલટેક્સ રૂપે વસૂલવામાં આવે છે. મળેલી માહિતી પ્રમાણે વર્ષે આ રોડ પર રૂા. 10 કરોડ ટોલટેક્સ વસૂલવામાં આવે છે. અહીંથી પસાર થનારાઓએ જણાવ્યું હતું કે, ફોરલેન બનતાં વર્ષો નીકળી જશે ત્યાં સુધી આ ખાડામાર્ગ બંધ થઇ જાય તો સમય બરબાદ થતા અટકે. આ રસ્તાની જવાબદારી જી.એસ.આર.ડી.સી. વિભાગ પાસે હોવાથી એસ.ઓ. નરેશ ભાનુશાલીનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, પેચવર્ક તો કરી દેવાયું છે. પરંતુ ટૂંક સમયમાં આ 45 કિ.મી. મિરજાપરથી નખત્રાણા બસ સ્ટેશન સુધી ડામરકામ કરવામાં આવશે. આખા રસ્તા પર રિસર્ફેસિંગ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઇ ચૂકી છે.કેટલાના ખર્ચે સુધારણા થશે આ સવાલ સામે શ્રી ભાનુશાલીએ કહ્યું કે, રૂા. 16 કરોડના ખર્ચે ડામર મઢવામાં આવશે. ટેન્ડર ભરાયા પછી એજન્સી નક્કી થશે એટલે કામ ચાલુ કરી દેવામાં આવશે. બીજીબાજુ તેમણે જણાવ્યું કે, ફોરલેનનાં કામ પાછળ 718 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. 10 કરોડ ટોલટેક્સ વસૂલવામાં આવે છે તેને સમર્થન આપ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd