વોશિંગ્ટન, તા. 19 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પે ફરી ચોંકાવનારાં નિવેદનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત બાદ પહેલીવાર
સ્વીકાર્યું હતું કે, ભારત અને પાકિસ્તાન
વચ્ચે સૈન્ય સંઘર્ષ રોકવામાં અમેરિકાની ભૂમિકા નથી. ભારત અને પાકના નેતાઓએ જ સંઘર્ષ રોકવાનો ફેંસલો
કર્યો હતો, તેવી કબૂલાત ટ્રમ્પે પહેલીવાર કરીને વિશ્વને અચરજમાં
મૂકી દીધું હતું. અમેરિકી પ્રમુખે એક ભારતીયોને ન ગમે તેવી વાત પણ કરી હતી. ટ્રમ્પે વડાપ્રધાન મોદીની
સાથે યુદ્ધવિરામનું શ્રેય પાક સૈન્ય વડા જનરલ આસિમ મુનિરને પણ આપ્યું હતું. ટ્રમ્પ
અત્યાર સુધી વારંવાર એવો દાવો કરતા રહ્યા હતા કે, ભારત-પાક વચ્ચે
યુદ્ધવિરામ મારી મધ્યસ્થીના કારણે થયો છે. ભારત તરફથી દરેક વખતે ખંડન પછી પણ સતત યુદ્ધ
રોકવા માટે પોતાને શ્રેય આપતા રહેલા ટ્રમ્પે
પહેલીવાર કરેલી પોતાની ભૂમિકા નહીં હોવાની કબૂલાત આશ્ચર્યજનક છે. અગાઉનાં નિવેદનોમાં
ટ્રમ્પે એવું પણ કહ્યું હતું કે, ભારત અને પાક સંઘર્ષ રોકશે,
તો જ બંને દેશ સાથે વ્યાપાર અમેરિકા કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શાનદાર વ્યક્તિ લેખાવ્યા હતા. બંને દેશના નેતાઓએ
સમજદારી બતાવી, તેવું ટ્રમ્પે ઉમેર્યું હતું.