દેશની જાતિ આધારિત રાજનીતિમાં ચર્ચા અને વિવાદનો મુદ્દો બની
રહેલી જાતિગત વસતી ગણતરીનો માર્ગ મોકળો બન્યો છે. ગૃહમંત્રી અમિત શાહે વરિષ્ઠ અધિકારીઓ
સાથે બેઠક યોજ્યા બાદ ભારત સરકારે જાહેરનામું બહાર પાડયું છે. દેશ આઝાદ થયા પછી પ્રથમ
જ વાર જાતિ આધારિત વસતી ગણતરી થશે. વસતી ગણતરી અતિમહત્ત્વપૂર્ણ પ્રક્રિયા છે. દેશના
વિકાસ માટે જરૂરી છે. આમ તો, 2021માં નિયમાનુસાર વસતી ગણતરી
થવાની હતી, પરંતુ કોવિડ મહામારીને
લીધે તેની તૈયારી ન થઇ શકી. આમ, આ પ્રક્રિયા વિલંબથી થતી હોવાથી
તેની અગત્યતા વધી જાય છે. દેશ અને દુનિયાએ ડિજિટલ યુગમાં પ્રવેશ કરી લીધો છે તેની અસર
સેન્સસ પ્રક્રિયામાંય જોવા મળશે. પહેલી જ વાર મોબાઇલ એપ્લિકેશનના ઉપયોગ દ્વારા ડિજિટલ
રીતે હાથ ધરવામાં આવશે. ભારત જેવા વિરાટ રાષ્ટ્ર માટે આ મોટો વ્યાયામ છે. લોકોને પૂરતી
સમજણ આપવી પડશે અને સહાયતા કેન્દ્રો પણ ઊભા કરવાં પડશે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર
સમગ્ર પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. પહેલા તબક્કામાં ચાર પર્વતીય રાજ્યો
ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કાશ્મીર અને
લદ્દાખ સામેલ છે. આ કામગીરી પહેલી ઓકટોબરથી થશે. એ પછી ફેબ્રુઆરી, 2027માં બીજું ચરણ શરૂ કરીને એક
મહિનામાં 1લી માર્ચ સુધી કામગીરી પૂર્ણ કરી લેવાશે.
જાતિગત વસતી ગણતરી પ્રક્રિયામાં 34 લાખ ગણનાકાર
અને નિરીક્ષકો ઉપરાંત એક લાખ 30 હજાર કાર્યકર્તાની
સેવા લેવામાં આવશે. પ્રક્રિયા ડિજિટલ હોવાના લીધે ડેટા સંગ્રહ અને વિશ્લેષણમાં ઝડપ
થશે. વસતી ગણતરી આગામી મહિનાઓમાં રાજકીય વાદવિવાદ અને દાવપેચનુંય કારણ બનશે એમ જણાય
છે. આ વસતી ગણતરી 1971 પછી પહેલી
જ વાર લોકસભા બેઠકોના સીમાંકન માટેનો આધાર બનશે. અહીં એ નોંધનીય છે કે, 84મા બંધારણીય
સુધારા (2002) મુજબ લોકસભા બેઠકોની સંખ્યામાં
2026 સુધી ફેરફાર સામે મનાઈ ફરમાવવામાં
આવી છે. અંદાજ એવો છે કે, 2027ની વસતી ગણતરીના આધારે લોકસભા
બેઠકોની સંખ્યા 543થી વધીને
848 થઇ શકે છે. અલબત્તે તેનો અમલ
થશે કે નહીં એ ભવિષ્યની વાત છે. આ નિર્ણય રાજકીય રીતે અતિ સંવેદનશિલ હોવાથી અનેક કસોટીઓમાંથી
પસાર કરવાનો રહેશે. નિષ્ણાતો માને છે કે, લોકસભા અને ધારાસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતનો અમલ પરિસીમન પછી
શક્ય બની શકશે. વિવિધ જ્ઞાતિ-સમૂહોને નિષ્પક્ષ
પ્રતિનિધિત્વ પણ સંભવ બનશે. સવાલ એ છે કે, 2029ની લોકસભા ચૂંટણી પૂર્વે આ
જટિલ અને તકરારી પ્રક્રિયા પૂરી થઇ શકશે ખરી ? મહિલા અનામતનો મુદ્દો વરસોના વરસોથી ચર્ચાના એરણે છે. સાંસદના અનુમોદન પછીએ
તેનો અમલ થઇ શક્યો નથી. એ યાદ રહે કે,
ભારતમાં મહિલાઓ માટે સંસદીય
પ્રતિનિધિત્વ માત્ર 14 ટકા આસપાસ જ છે. વિરોધ પક્ષોએ તેમાં પછાત વર્ગ તથા મુસ્લિમ
મહિલાઓ માટે આંતરિક અનામતની માગણી કરી છે, જેને સામેલ કરવામાં આવી નથી. પ્રસ્તાવિત વસતી
ગણતરીથી દેશની જનસંખ્યાની સ્પષ્ટ વિગતો તો મળશે જ, સાથે સામાજિક-આર્થિક
વિકાસ યોજનાઓ અને નીતિઓ માટે એક મહત્ત્વપૂર્ણ ડેટાબેઝ બનશે. વળી, જાતિ આધારિત ગણતરી થવાથી સામાજિક-આર્થિક અસમાનતા સમજવામાં અને પછાત વર્ગોના
ઉત્થાન માટે યોજનાઓ-નીતિ ઘડવામાં મદદ મળશે. એક છાનો ભય એવો પણ છે કે, જાતિગત ગણતરીથી સામાજિક વિભાજન અને સંઘર્ષ વધી શકે છે. વિરોધ પક્ષ કોંગ્રેસે
આ પ્રક્રિયામાં તેલંગાણા મોડેલ અપનાવવા સૂચવ્યું છે જેમાં ફક્ત જાતિની ગણતરી જ નહીં,
જાતિવાર સામાજિક અને આર્થિક સ્થિતિને લગતી વિસ્તૃત વિગતો પણ આવરી લેવામાં
આવી છે.