નવી દિલ્હી, તા. 19 : દેશના ગૃહમંત્રી
અમિત શાહે ભાષા વિવાદ વચ્ચે ગુરુવારે જણાવ્યું હતું કે, જલ્દી એવો સમાજ તૈયાર થશે, જેમાં અંગ્રેજી બોલનાર લોકોને પોતા પર જ શરમ આવશે. જે લોકો વિચારી રહ્યા છે
કે, બદલાવ નથી થઇ શકતો, તેઓ ભૂલી રહ્યા
છે કે પરિવર્તન માત્ર દૃઢ નિશ્ચયવાળા લોકો જ લાવી શકે છે, તેવું
શાહ બોલ્યા હતા. પૂર્વ આઇએએસ અધિકારી આશુતોષ અગ્નિહોત્રીના પુસ્તક `મૈં બુંદ સ્વયં, ખુદ સાગર હું'નાં વિમોચન
વેળાએ ગૃહમંત્રીએ કહ્યું હતું કે, આપણી ભાષા આપણી સંસ્કૃતિના
રત્નો છે. આવી ભાષાઓ વિના આપણે ભારતીય રહી શકતા નથી. આપણે ભાષાના વારસાને ફરી અપનાવીને
દુનિયા સામે ગર્વથી આગળ વધીએ તેવી સલાહ શાહે આપી હતી. તેમણે જણાવ્યું હતું કે,
ભારત, તેનો ઇતિહાસ, સંસ્કૃતિ,
ધર્મને સમજવા માટે વિદેશી ભાષાઓ કદી પણ પર્યાપ્ત નથી. અધૂરી વિદેશી ભાષાઓથી
ભારતને પૂરી રીતે કદી સમજી ન શકાય. મને ખબર છે કે, સંઘર્ષ સરળ
નથી, પરંતુ પૂરતો ભરોસો છે કે, ભારતીય સમાજ
આ લડાઇ જરૂર જીતશે તેવું દેશના ગૃહપ્રધાને જણાવ્યું હતું.