અમદાવાદમાં લંડન જતું એર
ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું ને 270 લોકોનો ભાગ લેવાયો એ પછી દુનિયાભરમાં વિમાન કંપનીઓ અને પ્રવાસીઓનો
આત્મવિશ્વાસ ડગી ગયો છે. નાની સરખી ખરાબીની શંકા પરથી વિમાન રદ કરી દેવામાં આવે છે
કે પાછા વાળવામાં આવે છે. દિલ્હી જતું વિમાન સોમવારે તાંત્રિક ખામી સાર્જાતાં હોંગકોંગ
પરત ફર્યું. ઉતારુઓના જીવ સાથે કોઇ જોખમ ન લઇ શકાય. કેન્સલેશન કે વિલંબથી લોકોની મુશ્કેલી
વધતી હશે, પરંતુ જાન બચી લાખો પાયે... અમદાવાદ દુર્ઘટનાનાં
કારણોની તપાસ બેસાડી દેવામાં આવી છે. એ દરમ્યાન રવિવારે કેટલાક ગોઝારા બનાવોએ અરેરાટી
જગાવી. મહારાષ્ટ્રના પૂણે જિલ્લામાં ઇન્દ્રાયણી નદી પરનો જૂનો પુલ ધસી પડતાં અનેક લોકો
તણાઇ ગયા જેમાં છ લોકોનાં મોત થયાં... બીજી તરફ મથુરામાં ખડક તૂટીને મકાનો પર ખાબકતાં
કેટલાક લોકોનો જીવનદીપ બુઝાઇ ગયો... અને સૌથી ગમખ્વાર બનાવમાં કેદારનાથના યાત્રિકોને
લઇને ઊડેલું હેલિકોપ્ટર ક્રેશ થતાં સાત જણ માર્યા ગયા. ઉત્તરાખંડમાં આ પહેલી દુર્ઘટના
નથી, આ પહેલાં પણ અનેક બનાવ બની ચૂકયા છે. ચારધામ યાત્રા પરાકાષ્ટાએ
છે, ત્યારે ઉપરાઉપરી સર્જાતા અકસ્માતોએ અનેક સવાલ ઊભા કર્યા છે.
ઉત્તરાખંડ સરકારે હાલતુરત હેલિકોપ્ટર સેવા સ્થગિત કરી દઇને સુરક્ષાના માપદંડોની સમીક્ષા
હાથ ધરી છે, પણ સવાલ એ છે કે, અત્યાર સુધી શા માટે આવું ચાલવા દીધું ? ઉત્તરાખંડ કે કાશ્મીરમાં પણ પ્રવાસીઓની મજબૂરીનો લાભ લઇને રીતસર લૂંટફાટ મચાવવામાં
આવે છે, ચારધામમાં હેલિકોપ્ટર સેવાની ભારે માંગ છે અને ત્યાં
અગાઉથી બુકિંગ કરાવ્યા છતાં જગા ન મળવી કે રાતોરાત બ્લેકના ભાવમાં સીટ મળી જવી સામાન્ય
બાબત છે. ભગવાન ભોળાનાથનાં ધામમાં આવા પાંખડીઓ ભક્તોને છેતરીને કાળી કમાણી કરી લેતા
હોય છે. હેલિકોપ્ટર સેવામાં અનેક પ્રકારની બેદરકારી જોવા મળી છે, અન્યથા 40 દિવસમાં પાંચમી હેલિકોપ્ટર દુર્ઘટના ન થાય. 8મી મેએ ગંગોત્રીધામ જતું ચોપર ઉત્તરકાશી જિલ્લામાં અકસ્માતનો
ભોગ બનતાં છ જણે જીવ ગુમાવ્યા, એ પછી
7મી જૂને કેદારનાથ જતાં હેલિકોપ્ટરે ટેકનિકલ
ખામીને લીધે રસ્તા પર તાકીદનું ઊતરાણ કરવું પડયું હતું, જેમાં પાઈલટને ઇજા પહોંચી હતી. એ પછી ડાયરેકટર ઓફ સિવિલ એવિએશને તપાસ કરીને ઉડાનસેવા
પર 35 ટકા કાપ મૂકી દીધો હતો કેમ
કે, હેલિકોપ્ટર સેવાનાં સ્થળે બસ સ્ટેશન કે રેલવે
સ્ટેશન જેવી સ્થિતિ જોવા મળી. કેદારનાથ માટે 2004માં હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં
આવી. જાણકારોના મતે ત્યાં એક એન્જિવાળા ચોપર ઊડે છે. વળી સંચાલકો માટે કડક જોગવાઇના
અભાવે તેમની મનમાની વધતી ગઇ છે. જ્યાં હવામાનની અનિશ્ચિતતા ભારોભાર હોય છે ત્યાં એક
એન્જિનવાળાં હેલિકોપ્ટર ન જ ચાલે આવી બાબતો અગત્યતા માગે છે. લોકોના જીવનના ભોગે કમાણી
કરી લેવાની લાલસા જઘન્ય અપરાધ છે.