• શુક્રવાર, 20 જૂન, 2025

ગુંદાલા પાસે નર્મદા કેનાલમાં રાજસ્થાની યુવાન ડૂબ્યો

ભુજ, તા. 19 : મૂળ રાજસ્થાનના બૈયાવર જિલ્લાનો હાલે શ્રીનિધિ પેટ્રોલ પંપ પર રહેતો 31 વર્ષીય યુવાન હેમેન્દ્રપાલસિંહ નારાણસિંહ રાવત (રાજપૂત) ગઇકાલે મુંદરાના ગુંદાલા પાસે નર્મદા કેનાલમાં પાણીમાં ડૂબી જતાં તેનું મોત થયું હતું, જ્યારે આજે ભુજના અમનનગરમાં 26 વર્ષીય યુવક મોઇનુદ્દીન મામદશાહ સૈયદે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મુંદરા તાલુકાના ગુંદાલા પાસે નર્મદા કેનાલના પુલિયા નજીક ગઇકાલે સવારથી બપોર દરમ્યાન મૂળ રાજસ્થાનના બૈયાવર જિલ્લાનો હાલે શ્રીનિધિ પેટ્રોલ પંપ ગુંદાલા હાઇવે રોડ રહેતો હેમેન્દ્રપાલસિંહ રાવત પોતાના કામસર ગુંદાલા જતો હતો અને નર્મદા કેનાલમાં  પડી જતાં પાણીમાં ડૂબી જવાથી તેનું મૃત્યુ નીપજ્યાની વિગતો તેના નાનાભાઇ હરીશસિંહે પ્રાગપર પોલીસ મથકે જાહેર કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ભુજના અમનનગરમાં પ્રભાત બેકરી પાસે રહેતો 26 વર્ષીય યુવાન મોઇનુદ્દીન સૈયદે ગઇકાલે અડધી રાતથી આજ સવાર દરમ્યાન કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરના રૂમની આડી પર અજરખ બાંધી ગળેફાંસો ખાઇ લેતાં તેના બનેવી અઝરોઝ તેને સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલ લઇ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd