લીડસ, તા. 19 : નવા કેપ્ટન, અનુભવી કોચ, કેટલાક જૂના
અને કેટલાક નવા ચહેરા સાથે આગામી 45 દિવસ દરમિયાન ઇંગ્લેન્ડની ધરતી પર ટીમ ઇન્ડિયાની નવી ગાથા આલેખતી જોવા મળશે. ભારત
અને ઇંગ્લેન્ડ વચ્ચેની એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની પાંચ ટેસ્ટની શ્રેણીની પ્રથમ મેચ
અહીંના હેડિંગ્લે ગ્રાઉન્ડ પર શુક્રવારથી શરૂ થશે ત્યારે રોહિત, વિરાટ અને અશ્વિન વિનાની ભારતીય ટીમ સામે ઇંગ્લેન્ડની
આક્રમક ટીમને તેની જ ધરતી પર ટક્કર આપવાનો પડકાર બની રહેશે. પ્રથમ ટેસ્ટની સાથે જ બન્ને
ટીમ તેમના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના નવા રાઉન્ડની પણ શરૂઆત કરશે. મેચ ભારતીય સમય
અનુસાર બપોરે 3-30થી શરૂ થશે.
ઇંગ્લેન્ડમાં ભારતના ત્રણ કેપ્ટન જ ટેસ્ટ શ્રેણી વિજયની સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે. હવે શુભમન ગિલ આ સૂચિમાં નામ
અંકિત કરાવવા ઉત્સુક હશે પરંતુ તે જરા પણ આસાન નથી. કારણ કે ભારતીય ટીમ બદલાવના તબક્કામાંથી
પસાર થઇ રહી છે. કપ્તાન રોહિત શર્મા, સ્ટાર વિરાટ કોહલી અને સ્પિનર રવિચંદ્રન અશ્વિન ટીમનો સાથ છોડી ચૂક્યા છે.
આથી અનુભવના મામલે ગિલની ટીમ થોડી નબળી છે.
ગિલ સામે કોચ બ્રેંડન મેક્કુલમ અને કેપ્ટન બેન સ્ટોકસની આક્રમક ઇંગ્લેન્ડ ટીમ
છે. જે તેની બેઝબોલ રણનીતિથી હરીફ ટીમ પર પહેલા દડાથી જ હલ્લાબોલ કરવા માટે જાણીતી
છે. એમાં પણ હોમ પિચ પર તે વધુ ખતરનાક બને છે.
જો રૂટની હાજરીને લીધે ઇંગ્લેન્ડની ટીમ બેટિંગમાં વધુ મજબૂત છે. પરંતુ જસપ્રિત
બુમરાહની આગેવાની હેઠળની ભારતીય બોલિંગ હરોળ ઇંગ્લેન્ડની તુલનામાં મજબૂત નજરે પડે છે.
એન્ડરસન અને બ્રોડની નિવૃત્તિ અને કેટલાક ઝડપી બોલરની ઇજાને લીધે ઇંગ્લેન્ડનું બોલિંગ
આક્રમણ નબળુ પડયું છે. આથી બન્ને ટીમ બરાબરની સ્થિતિ પર હોવાનું કહી શકાય. ક્રિસ વોકસ,
જોશ ટંગ, બ્રાયડન કાર્સ, કપ્તાન બેન સ્ટોકસ અને સ્પિનર શોએબ બશીર એવા બોલર નથી કે વિપક્ષી ટીમમાં ભય
પેદા કરી શકે. ઇંગ્લેન્ડ તેની ઇલેવન જાહેર કરી ચૂક્યું છે. ભારતની ઇલેવનમાં કોઇ એક
સ્પિનર હશે. જે માટે રવીન્દ્ર જાડેજાનો દાવો મજબૂત છે. જો કે, ઈંગ્લેન્ડમાં કાંડાનો સ્પીનર કુલદીપ યાદગ પણ અસરકારક બની શકે એમ છે. જયારે
ઓલરાઉન્ડરની જગ્યા માટે શાર્દુલ ઠાકુર અને નીતિશકુમાર રેડ્ડી વચ્ચે હરિફાઈ જેવી સ્થિતિ
છે જ્યારે ત્રીજા ઝડપી બોલર તરીકે અર્શદીપ અને પ્રસિદ્ધ કૃષ્ણા રેસમાં છે. જયારે સાત
વર્ષ પછી વાપસી કરી રહેલ મીડલઓર્ડર બેટર કરૂણ નાયરના દેખાવ પર તમામની નજર રહેશે.