• બુધવાર, 25 જૂન, 2025

ઊંટડીનું દૂધ દર્દીઓ માટે રામબાણ ઈલાજ

કોટડા (ચકાર), તા. 24 : વિશ્વ ઊંટ દિવસ નિમિત્તે અહીંના સરાણવાળી માતાજી મંદિર પરિસરમાં જિલ્લાભરના રબારી, ફકીરાણી જત, સમા, સોઢા સહિત ઊંટપાલક માલધારીઓ ઉમટયા હતા.  કચ્છ ઊંટ ઉછેરક માલધારી મંડળ સાથે સહજીવન સંસ્થાએ કાર્યક્રમની ઉજવણીમાં સહકાર આપ્યો હતો. સરાણવાળી મોમાય માતાજી મંદિર પરિસરમાં ઊંટડીઓની પૂજા સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ સહિતના અગ્રણીઓએ કરી હતી. સરકારના પ્રતિનિધિ પદાધિકારીઓએ ઊંટ ઉછેરક સંગઠન તથા ઊંટ પાલકોને બારેમાસ સહાયની ખાતરી આપી હતી. ઊંટ પાલકોએ દૂધ્નો ભાવ વધારો, ચરિયાણની જમીન પવનચક્કી તથા ટાવર કંપનીઓના કારણે ઓછી થવી સહિતની બાબતે ચિંતા વ્યક્ત કરી સરળતાથી સબસિડીવાળી લોન સહાય સહિતના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. રબારી સમાજના અગ્રણી શંભુભાઈ રબારીએ કહ્યું કે ઊંટડી એકમાત્ર દૂધાળું પશુ છે જે જંગલમાં રહી ચારાને બદલે જંગલી વનસ્પતિ ખાઈને તેના પર નભે છે. તેનું દૂધ ગુણકારી હોવાથી અનેક પ્રકારના દર્દીઓ માટે રામબાણ ઈલાજ છે. જિલ્લા પશુપાલક અધિકારી ડો. નાથાણીની ટીમે ઊંટોનું રસીકરણ કર્યું હતું. કચ્છ ઊંટ ઉછેરક માલધારી મંડળની જિલ્લા કક્ષાની સામાન્ય સભા પણ થઈ હતી. ભોજનના દાતા માજી સરપંચ શંભુભાઈ રબારી રહ્યા હતા. રમેશ ગરવા, જબાર સમા, ભારતીબેન, કચ્છ ઊંટ ઉછેરક માલધારી મંડળના પ્રમુખ આશાભાઈ રબારી, ઉ.પ. નૂરમામદ જત, માજી પ્રમુખ ભીખાભાઈ રબારી, માડણભાઈ રબારી, ભોજા ભોપા, વંકા મમુ રબારી, ડો. નાથાણી સરાણ માતાના ભીખા ભોપા, હરિભાઈ પ્રજાપતિ, સરપંચ મનસુખભાઈ માકાણી, પૂજારી ગવરીગર ગુસાઈ, આશાભાઈ રબારી, ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન આશાભાઈ રબારીએ કર્યું હતું.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd