દયાપર, તા. 13 : કાંતિવૃતના એક સરખા 27 ભાગ પૈકીનો પ્રત્યેક અંશાત્મક
ભાગ નક્ષત્ર છે. ચંદ્ર એક નક્ષત્રમાં 24 કલાક જ્યારે સૂર્ય 13થી 14 દિવસ રહે છે. આર્દ્રા નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ થાય ત્યારે વર્ષાઋતુનો પ્રારંભ થતો હોય છે. આ વર્ષે તા. 22/6ના સવારે 6.19 મિનિટે સૂર્ય નારાયણનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ થશે. આર્દ્રા પ્રવેશ વખતે રવિવાર હોવાથી વર્ષના 14 અધિકારીઓ પૈકી મેઘેશ જલાધિપતિ સૂર્ય બને છે. નક્ષત્ર પ્રમાણે
આ વર્ષે કેવો વરસાદ પડશે તે જોતાં તા. 22/6થી 4/7 આર્દ્રા નક્ષત્ર
છે જેનું વાહન ઉંદર હોવાથી વરસાદનો માહોલ રહેશે.
તા. 5/7થી 18/7 સુધી પુનર્વસુ નક્ષત્રમાં વાહન
ઘોડો છે અને આ સમયગાળામાં મધ્યમ વરસાદ પડવાનું
અનુમાન છે. તા. 19/7થી તા. 1/8 સુધી પુષ્ય નક્ષત્ર જેને `પોખ'
કહેવાય છે. વાહન મોર હોતાં આ
દિવસોમાં અતિવૃષ્ટિ થાય. તા. 2/8થી 15/8 સુધી આશ્લેષા
નક્ષત્ર છે. તેવા એંધાણ દેખાઇ રહ્યા છે. જેનું
વાહન ગધેડાનું હોતાં વરસાદ મધ્યમ રહે પણ વીજળી ઘણી થાય. તા. 16/8થી તા. 29/8 સુધી મઘા નક્ષત્ર છે. જેનું
વાહન દેડકો છે ત્યારે વરસાદ સારો થાય તેવું અનુમાન વ્યકત કરાયું છે. તા. 30/8થી તા. 12/9 સુધી પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર
છે. વાહન ભેંસ છે. ગાજવીજ વધારે, વસાદ મધ્યમ રહે તેવી સંભાવના છે.તા. 13/9થી તા. 26/9 સુધી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર
છે જેનું વાહન શિયાળ છે. છૂટોછવાયો વરસાદ, ઝાપટાં પડે. તા. 27/9થી તા. 9/10 સુધી ફરી ગાજવીજ સાથે સારો
વરસાદ પડે, તો તા. 10/10થી 23/10 સુધી ચિત્રા નક્ષત્ર છૂટો છવાયો
વરસાદ તેવી સંભાવના છે. જૂન-જુલાઇમાં મંગળ અને કેતુ સિંહ રાશિમાં રહેશે એટલે જેઠ અને અષાઢ મહિનામાં આગ તથા વીજળીના બનાવો વધશે.