• બુધવાર, 21 મે, 2025

નિયમિત કામ સાથે જો સેવાનું એક પણ કામ કરશો તો આત્મસંતોષ જરૂર થશે

રાપર, તા. 18 : ભારત વિકાસ પરિષદ-રાપર શાખાની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં નવાં વર્ષના પ્રમુખ સહિત વિવિધ હોદ્દેદારો વરાયા હતા. કાર્યક્રમમાં રાપર રત્ન ડો. ત્રિકાલદાસ બાપુએ આશીર્વચન આપતાં જણાવ્યું હતું કે, સંસ્થાના પાંચ સૂત્ર છે  જે એકબીજાના પુરક છે. એક એક સૂત્રનું મહત્ત્વ સમજાવી એ સૂત્રોને સંસ્થાના હોદ્દેદારોએ આત્મસાત કર્યા છે જેનો રાજીપો વ્યક્ત કર્યો હતો. મુખ્ય અતિથિ અને પ્રાંત કોષાધ્યક્ષ પ્રેયશભાઈ ધોળકિયાએ નવાં વર્ષની ટીમની જાહેરાત કરી હતી અને એમને હોદ્દાના શપથ લેવડાવ્યા હતા. પોતાનાં ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, તમારા નિયમિત કામ સાથે જો સેવાનું એક પણ કામ કરશો, તો તમને આત્મસંતોષ જરૂર થશે અને એ દિવસે ઊંઘ સારી આવશે જે સર્વે થયેલું પ્રમાણ છે. નવનિયુક્ત હોદ્દેદારોને  શુભકામનાઓ પાઠવી હતી. પ્રાંત ઉપપ્રમુખ જખ્ખાભાઈ આહીરે સંસ્થાનાં કાર્યો અને પ્રણાલિકાની માહિતી આપી હતી. વિદાય લેતા પ્રમુખ ડો. રાહુલપ્રસાદનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે પોતાનાં વિદાય વકતવ્યમાં કહ્યું હતું કે, સંસ્થા સાથે ચાર વર્ષથી જોડાયો જે મારાં જીવનનો સુવર્ણકાળ હતો.એજ ઉત્સાહથી સંસ્થા સાથે સેવાકાર્યમાં કાયમ જોડાયેલો જ રહીશ. નવનિયુક્ત પ્રમુખ કરણાસિંહ વાઘેલાએ પોતાને જવાબદારી સોંપવા બદલ આભારના ભાવો વ્યક્ત કરતાં કહ્યું હતું કે, સેવા કરવામાં પાછીપાની નહીં કરું, વધારે સંખ્યામાં પ્રબુદ્ધ લોકોને સંસ્થામાં જોડીશ અને તાલુકામાં એક નવી શાખા ખોલવાની ભાવના વ્યક્ત કરી હતી. મહિલા કન્વીનર પારસબા જાડેજા અને ડો. હેમાલીબેન સોની  ઉપરાંત સંસ્થામાં નવા જોડાયેલા અલ્પેશભાઈ શાસ્ત્રી અને ભરતભાઈ ઠાકોરે પણ શપથ લીધા હતા.  દિનેશભાઈ સોનીએ સૌને આવકાર્યા હતા ગત વર્ષનો હિસાબ ખજાનચી સવજીભાઈ ભાટીએ આપ્યો હતો. વર્ષ દરમ્યાન થયેલાં સેવાકાર્યોની માહિતી મંત્રી પારસભાઈ ઠક્કરે પ્રોજેક્ટર દ્વારા આપી હતી બાલાશંકર શાસ્ત્રી, ગૌતમભાઈ શાસ્ત્રી, મોરારદાન ગઢવી, ડો. રમેશભાઈ દોશી, રતિલાલ સોની, જગદીશભાઈ મકવાણા, હસમુખભાઈ સોની, સહદેવાસિંહ જાડેજા, ચંદુલાલ સોની, રાસુભા સોઢા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન  પારસભાઈ ઠક્કર અને આભારવિધિ ચંદ્રેશભાઈ દરજીએ કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd