ઈસ્લામાબાદ, તા. 14 : આતંકવાદને
પોષવાનું પાપ કરતાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ફરી એકવાર સિંધુ જળ સંધિ મુદ્દે
ભારતને પોકળ ધમકી આપી નાખી છે. શાહબાઝે ઝેર ઓકતાં કહ્યું હતું કે, પાકના હિસ્સાનું પાણી રોકાશે તો જડબાંતોડ જવાબ
અપાશે. ચોરી કરી ને સીનાજોરી કરતા પાકના વડાપ્રધાને જણાવ્યું હતું કે, કાશ્મીર પર પાકિસ્તાનનું વલણ કદી નહીં બદલે. શાહબાઝે વધુ એકવાર સેનાવડા ફિલ્ડ
માર્શલ આસિમ મુનીરની પ્રશંસા કરતાં ગાંડપણભર્યો દાવો કર્યો હતો કે, મુનીરનાં નેતૃત્વમાં જ પાકે ભારતને હરાવ્યું. ઈસ્લામાબાદમાં એક કાર્યક્રમને
સંબોધતાં શરીફે કહ્યું હતું કે, પાકિસ્તાનના હિસ્સાનાં સિંધુ
નદીનાં પાણી પર કોઈ સમાધાન નહીં કરાય. સિંધુજળ કરાર ભારત અને પાકિસ્તાન વચ્ચે નદીઓનાં
પાણી વહેંચે છે. સિંધુજળ પ્રણાલીમાં પૂર્વની ત્રણ નદીનાં પાણી ભારતને અને પશ્ચિમની
ત્રણ નદીનાં પાણી પાકને દેવાનું નક્કી થયું હતું. 10મી સપ્ટેમ્બર, 1960નાં થયેલી
આ સિંધુજળ સંધિ ભારતે 65 વર્ષ બાદ
એપ્રિલ, 2025માં રોકી
હતી. ભારતનું કહેવું છે કે, પાકિસ્તાન
સીમાપાર આતંકવાદ પર નક્કર અને ભરોસેમંદ કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી આ સંધિ પર રોક
રહેશે.