નવી દિલ્હી, તા.16 : 21મી
જૂનના ફરીથી લેવાઈ રહેલી નીટ-યુજીની પરીક્ષામાં પેપર લીક જેવી ઘટનાનું પુનરાવર્તન રોકવા
માટે કેન્દ્ર સરકારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ની ભલામણને આધારે આખા દેશમાં 22 જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ
લગાવ્યો છે. એનટીએ અનુસાર ઈલેકટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે દેશમાં
22 જૂન સુધી ટેલિગ્રામના ઉપયોગ
પર રોક લગાવવાનો પરિપત્ર બહાર પાડયો હતો. આ ઉપરાંત ટેલિગ્રામને ભારતમાં 30 જૂન સુધી તેની `મેસેજ-એડિટિંગ' સુવિધા બંધ રાખવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. એનટીએએ જણાવ્યું હતું કે
આ ફીચરનો અગાઉ પણ દુરુપયોગ કરવામાં આવ્યો હતો. આ ફીચરમાં જૂના મેસેજને એડિટ કરીને અને
પરીક્ષા યોજાઈ ગયા બાદ પરીક્ષાના પેપર મૂકીને પેપર લીકના ખોટા પુરાવા બનાવવામાં આવ્યા
હતા. એનટીએએ જણાવ્યું હતું કે આ બંને પગલાં જાહેર વ્યવસ્થા જાળવી રાખવા અને નકલ કરાવનારાઓની
ગતિવિધિ રોકવા માટે લેવામાં આવ્યાં છે જે કથિત રીતે નીટ-યુજીની ફરી પરીક્ષા આપનારા
ઉમેદવારો સાથે છેતરપિંડી કરવા આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે તેમ હતા. એક અહેવાલ અનુસાર
નીટનું પેપર લીક થવાની ઘટના દરમ્યાન એવું સામે આવ્યું હતું કે 127 જેટલી ટેલિગ્રામ ચેનલ એક્ટિવ
હતી જે મહારાષ્ટ્ર અને સીકર (રાજસ્થાન) જેવી જગ્યાઓ પર પેપર પહોંચાડવામાં મદદ કરી રહી
હતી. તે સમયે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે ટેલિગ્રામ પર પ્રતિબંધ
લગાવવો સરળ નથી.