ગાંધીધામ, તા. 30 : શહેરના એક વેપારી સાથે મુંદરાના
પ્રાગપરની જમીન અંગે સાટાકરાર કરી રૂા. 4,93,00,000 મેળવી લઇ જમીન વેપારીની જગ્યાએ અન્ય કોઇને વેચી મારતાં મુંબઇગરા
સહિત બે શખ્સ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. ગાંધીધામમાં રહેતા અને આશીર્વાદ શિપિંગ
એન્ડ લોજિસ્ટિકનો વ્યવસાય કરનાર દીપક ખેંગાર મજેઠિયાએ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ
નોંધાવી હતી. ફરિયાદીને જમીનમાં રોકાણ કરવાનું હોવાથી બ્રોકરનું કામ કરતા યોગેશ ઠક્કરને
તેની વાત કરી હતી. બાદમાં યોગેશ ઠક્કર ઓસ્લો સર્કલ મધુબન કોમ્પ્લેક્સમાં કિશોરભાઇ પિંગળની
ઓફિસે લઇ ગયા હતા. ત્યાં નિતેશભા ગઢવી સાથે ઓળખાણ કરાવી હતી. નિતેશ ગઢવીએ પ્રાગપરની
જમીનની વાત કરી સાટાકરાર બનાવ્યો હતો, જેમાં માલિક દીપક મેઘજી ગાલા (રહે. મુંબઇ) તથા નિતેશભા રાજભા ગઢવી તરીકે ઉલ્લેખ
હતો, જેમાં તા. 25/11/2023થી તા. 24/4/2024 સુધી
મુદ્દતનો કરાર હતો. આ જમીન ફરિયાદીને પસંદ આવતાં રૂા. 5,03,04,375માં સોદો નક્કી થયો હતો, જે અંગે નવો સાટાકરાર નિતેશભા ગઢવી વચ્ચે કરાયો હતો. ફરિયાદીએ જુદી- જુદી તારીખે રોકડથી,
ચેકથી, હવાલાથી કુલ રૂા. 5,03,00,000 ચૂકવી આપ્યા હતા. આ રૂપિયાની
લેવડદેવડની પહોંચ પાછળથી આપી દેવાનું જણાવાયું હતું. બાદમાં વેચાણ દસ્તાવેજ કરી આપવા
જણાવવા છતાં વારંવાર તારીખ આપી, બહાના
બતાવાયા હતા. મૂળ માલિક દીપક ગાલાનો સંપર્ક કરાતાં તેણે નિતેશ ગઢવીથી વાત કરવાનું કહી
બાદમાં ફોન ઉપાડવાનું બંધ કર્યું હતું. બાદમાં તા. 4/1/2025ના આ જમીન બારોબાર અન્યને વેચી
દેવાઇ હતી. ફરિયાદીના નીકળતા પૈસા પૈકી 10 લાખ પરત અપાયા હતા, જ્યારે રૂા. 4,93,00,000 અપાયા નહોતા. નિતેશ ગઢવી અને દીપક ગાલા સામે પોલીસે ગુનો દર્જ
કરી આગળની તપાસ હાથ ધરી છે.