નવી દિલ્હી, તા. 20 : ભારતનાં પ્રમુખ
ન્યાયધીશ(સીજેઆઈ) બી.આર.ગવઈએ હાલમાં જ સુપ્રીમ કોર્ટ તરફથી આપવામાં આવેલા એક આદેશનો
ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, સરકાર
ક્યારેય ન્યાયપાલિકાનું સ્થાન લઈ શકે નહીં. તેમણે સામાજિક, આર્થિક
અને રાજકીય ન્યાય અપાવવામાં સુપ્રીમ કોર્ટની ભૂમિકા ઉપર જોર મૂકતા સર્વોચ્ચ ન્યાયાલયનાં
બુલડોઝર ન્યાય ઉપર રોક મૂકવાનાં ફેંસલાનો હવાલો આપ્યો હતો. જસ્ટિસ ગવઈએ કહ્યું હતું
કે, સુપ્રીમ કોર્ટે સુનિશ્ચિત કર્યુ હતું કે, કાર્યપાલિકા ક્યારેય ન્યાયતંત્રની જગ્યા ન લઈ શકે અને સરકાર પણ જજ કે જ્યૂરી
બની શકે નહીં. જસ્ટિસ ગવઈએ મિલાનમાં આયોજિત એક કાર્યક્રમમાં આગળ કહ્યું હતું કે,
સુપ્રીમ કોર્ટે કાર્યપાલિકાને જજ બનતી રોકી લીધી હતી. બુલડોઝર ન્યાયનાં
નિર્ણયનો ઉલ્લેખ કરતાં તેમણે વધુમાં કહ્યું હતું કે, સરકારનું
પગલું બંધારણનાં અનુચ્છેદ 21 હેઠળ નાગરિકોનાં આશ્રયનાં મૌલિક અધિકારનું ઉલ્લંઘન કરે છે.