ઈસ્લામાબાદ, તા. 20 : ભારતે પાકિસ્તાનના
બે મોટા એરબેઝ નૂરખાન અને શોરકોટને તબાહ કરી નાખ્યા હતા, તેવું પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઈશાક ડારે
પહેલીવાર કબૂલ્યું હતું. ડારે જિયો ન્યૂઝ પર ખુલાસો કરતાં કહ્યું હતું કે, સાતમી મેની રાત્રે પાક હુમલાની તૈયારી કરી રહ્યું હતું, ત્યારે જ બીજીવાર હુમલો કરી દેતાં ભારતે શોરકોટ અને નૂરખાન એરબેઝ નષ્ટ કર્યા
હતા. ખાસ ઉલ્લેખનીય છે કે, અગાઉ પાકિસ્તાનની સરકાર અને સેનાએ
ભારતના હુમલાની વાત નકારી દીધી હતી. દરમ્યાન એક ધ્યાન ખેંચતાં નિવેદનમાં ડારે યુદ્ધવિરામ
પાછળ સાઉદી પ્રિન્સની પહેલને પણ યશ આપ્યો હતો. સાતમી મેની રાત્રે હુમલાની 45 મિનિટ બાદ સાઉદી પ્રિન્સે ફોન
કરીને ભારત સાથે વાતચીતનો પ્રસ્તાવ આપ્યો હતો. પછી અમે હા કહેતાં તેમણે ભારત સાથે વાત
કરી હતી, તેવું પાકના ઉપવડાપ્રધાને જણાવ્યું હતું. સાઉદી
પ્રિન્સે ભારતના વિદેશમંત્રી જયશંકર સાથે વાત કરવાનું કહ્યું હતું, તો મેં કહ્યું હતું કે, જરૂર કરો. તેમણે વાત કરીને ફરી
મને ફોન કર્યો હતો, તેવું ડારે કહ્યું હતું. પાકનેતાએ જણાવ્યું
હતું કે, અમે ભારત પર સવારે ચાર વાગ્યે હુમલો કરવાના હતા,
પરંતુ ભારતે રાત્રે અઢી વાગ્યે જ અમારા બે એરબેઝ પર હુમલા કરી દીધા હતા.