ગાંધીધામ/ભુજ, તા. 20 : અંજાર તાલુકાના
ટપ્પર ડેમમાં નહાવા પડેલા ક્રિષ્નાસિંહ ક્રિષ્ટોસિંહ રાજપૂત (ઉ.વ. 35) નામના યુવાનનું ડૂબી જવાથી
મોત થયું હતું, જ્યારે ગાંધીધામ તાલુકાના
જવાહરનગરમાં અમજત અલી (ઉ.વ. 43) નામના આધેડે કોઈ અકળ કારણે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બીજી
તરફ મુંદરા તાલુકાના ગુંદાલા માર્ગ પર બાઈક સ્લીપ થવાથી સાગર નામદેવ સીરકે (ઉ.વ. 36) નામના યુવકનું મોત થયું હતું.
પોલીસે આપેલી વિગતો મુજબ, ટપ્પર ડેમમાં
નહાવા ગયેલો હતભાગી યુવક ક્રિષ્નાસિંહ ડૂબ્યો હતો. તેને સારવાર માટે આદિપુરની ખાનગી
હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર
કર્યો હતો. દુધઈ પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે જવાહરનગરમાં આવેલી
ઓબીએસ ઈન્ટરનેશનલ કંપનીમાં નોકરી કરતા હતભાગી અમજત અલી પોતાના રૂમ પર હતા, ત્યારે કોઈ અગમ્ય કારણે તેમણે બારીમાં રસ્સી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.
તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.
આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. અકસ્માત મોતનો વધુ એક બનાવ મંગરા ગામથી ગુંદાલા
જતા માર્ગ પર બન્યો હતો. સાગર નામનો યુવાન પોતાના કબજાની બાઈકથી ઘરે જઈ રહ્યો હતો,
દરમિયાન, વધુ ઝડપના કારણે તે ગતિ અવરોધક કૂદી જતાં
તેનું વાહન સ્લીપ થયું હતું, જેમાં તેને મોઢા તથા હાથ સહિતના
ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં
સારવાર દરમિયાન તેણે દમ તોડયો હતો. મુંદરા પોલીસે અકસ્માત મોત અંગે ગુનો નોંધી આગળની
તપાસ હાથ ધરી છે.