પટણા, તા. 20 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાબાસાહેબ
ભીમરાવ આંબેડકરની ફોટો ફ્રેમનું પોતાના જન્મદિવસે અપમાન કરવા બદલ આરજેડીના અધ્યક્ષ
અને પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવને ઘેર્યા હતા. વાદળી રંગનો ગમછો પહેરીને આવેલા
મોદીએ સિવાનની એક સભામાં કહ્યું હતું કે આવા લોકો દરેક પગલે બાબાસાહેબનું અપમાન કરતા
રહે છે. આ મુદ્દે માફીની વધતી માગની ચર્ચા કરતા મોદીએ કહ્યું હતું કે આ લોકો ક્યારેય
માફી નહી માગે. તેમના મનમાં પછાત અને અતિ પછાત વર્ગ માટે કોઈ સન્માન નથી. વડાપ્રધાન
મોદીએ 10 હજાર કરોડની વિવિધ યોજનાઓના
પાયાવિધિ, લોકાર્પણ કર્યા હતા. સાથોસાથ પાટલીપુત્ર-ગોરખપુર
દોડનારી વંદે ભારત ટ્રેનને લીલીઝંડી પણ આપી હતી. બીજીતરફ ઓરિસ્સા પ્રવાસે પહોંચેલા
વડાપ્રધાન મોદીએ રાજ્યને 18,600 કરોડ
રૂપિયાની વિવિધ યોજનાની સોગાદ આપી હતી. સંબોધનમાં મોદીએ કહ્યું હતું કે, તેઓ કહે છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, પણ ફાનસ અને પંજાવાળા કહે છે પરિવારનો સાથ,
પરિવારનો વિકાસ. પોતાના પરિવારના હિત માટે આવા લોકો દેશના, બિહારના લોકોનું અહિત કરવામાં ચૂકતા નથી. બાબાસાહેબ આંબેડકર પણ આવી રીતની રાજનીતિના
વિરોધમાં હતા. આ જ કારણથી દરેક પગલે બાબાસાહેબનું અપમાન કરવામાં આવી રહ્યું છે. પીએમ
મોદીએ આગળ કહ્યું હતું કે, પૂરા દેશે જોયું છે કે આરજેડીના લોકોએ
બાબાસાહેબની તસવીર સાથે કેવો વ્યવહાર કર્યો છે. બિહારમાં પોસ્ટર લાગ્યા છે કે બાબાસાહેબના
અપમાનની માફી માગવામાં આવે. જો કે માફી માગવામાં આવશે નહીં. આરજેડી અને કોંગ્રેસ બાબા
સાહેબની તસવીર પગ પાસે રાખે છે જ્યારે મોદી તસવીરને દીલમાં રાખે છે. બાબા સાહેબનું
અપમાન કરનારા લોકો પોતાના મોટા બતાવવા માગે છે.