નવી દિલ્હી, તા. 20 : એક સારી ચેષ્ટામાં
ઇઝરાયલ સાથેના યુદ્ધ વચ્ચે ઇરાને મોટાભાગના વિદ્યાર્થીઓ સહિતના 1000 જેટલા ભારતીયની વતનવાપસી થઇ
શકે એ માટે પોતાનું હવાઇ ક્ષેત્ર ખોલ્યું હતું. ત્રણ ચાર્ટર વિમાનમાં આ ભારતીયોની પહેલી
ફ્લાઇટની મોડેથી વાપસી થઇ હતી. આ ભારતીયોને તેહરાનથી મશહદ લવાયા હતા અને ત્યાંથી નવી
દિલ્હી પહોંચ્યા હતા. ઇરાની દૂતાવાસના નાયબ વડા મોહમ્મદ જાવેદ હુસૈનીએ કહ્યું હતું
કે, આગામી દિવસોમાં જરૂર પડયે ભારતીયોને પરત મોકલવા
માટે વધુ ઉડાનોની પણ વ્યવસ્થા કરાશે. ઓપરેશન સિંધુ હેઠળ ઇરાનના શહેરોમાં ફસાયેલા ઓછામાં
ઓછા 1000 ભારતીય વિદ્યાર્થી આગામી બે
દિવસમાં દિલ્હી પહોંચે તેવી અપેક્ષા છે. પહેલી ઉડાન આજે રાત્રે નવી દિલ્હી પહોંચી હતી.
બીજી અને ત્રીજી ફ્લાઇટ શનિવારે સવારે અને સાંજે પહોંચવાની અપેક્ષા છે. ઇઝરાયલી અને
ઇરાની દળો વચ્ચે ચાલી રહેલા મિસાઇલ અને ડ્રોન હુમલાઓને કારણે મોટાભાગની ઇરાની હવાઇ
સીમા આંતરરાષ્ટ્રીય ઉડાનો માટે બંધ કરી દેવામાં આવી છે. જો કે, આ હોવા છતાં ભારતને તેના વિદ્યાર્થીઓને બહાર
કાઢવા માટે ખાસ કોરિડોર આપવામાં આવ્યો છે. ઇરાનના વિદેશ મંત્રાલયે બુધવાર (28 જૂન-2025)એ ભારતીય મિશન ઇન્ડિયાના સંપર્કમાં
રહીને ઇરાનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ઓપરેશન સિંધુ શરૂ કરવાની જાહેરાત
કરાઇ હતી. ઇઝરાયલ સાથે ઇરાનનો સંઘર્ષ ઓછો થવાને બદલે દિવસે ને દિવસે વધી રહ્યો છે.
દિલ્હીમાં ઇરાની દૂતાવાસના અધિકારીઓએ જણાવ્યું હતું કે, કેટલાક
વિદ્યાર્થીઓ ઘાયલ થયા બાદ ઇરાની વિદેશ મંત્રાલય તેહરાનમાં ભારતીય મિશનના સંપર્કમાં
છે. ઇરાનમાં 4000થી વધુ ભારતીય
નાગરિક રહે છે અને તેમાંથી અડધા વિદ્યાર્થી છે. વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી
સત્તાવાર માહિતી અનુસાર આ અઠવાડિયાની શરૂઆતમાં ઉત્તર ઇરાનમાંથી 110 ભારતીય વિદ્યાર્થીને બહાર કાઢવામાં
આવ્યા હતા અને તેમને અર્મેનિયાના યેરેવનમાં રોડ માર્ગે લઇ જવામાં આવ્યા હતા. તેહરાન
અને યેરેવનમાં ભારતીય મિશન વચ્ચે વધુ સારા સંકલનને કારણે વિદ્યાર્થીઓને બહાર કાઢવાની
કામગીરી સફળ રહી હતી.