નવી દિલ્હી, તા. 16 : ત્રણ
દેશોના પ્રવાસના બીજા દિવસે સોમવારે સાઈપ્રસમાં રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસટો ડોલિડેસે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશનાં સર્વોચ્ચ સન્માન `ગ્રાન્ડક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ
મકારિયોસ'થી
સન્માનિત કરાયા હતા. આ સન્માન સાઈપ્રસ તરફથી એવા નેતાને અપાય છે. જેમણે શાંતિ,
સહયોગ અને માનવતાનાં ક્ષેત્રમાં અસાધારણ યોગદાન આપ્યું હોય. આજના
સન્માન સહિત 21 દેશ મોદીને નવાજી ચૂક્યા છે.
પ્રતિભાવમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આ માત્ર નરેન્દ્ર મોદીનું નહીં, પરંતુ 140 કરોડ ભારતીયોનું સન્માન છે. આ
ભારતીયોની ક્ષમતા અને આકાંક્ષાનું સન્માન છે. આ ભારતની સંસ્કૃતિ, ભાઈચારો અને વસુધૈવ
કુટુંબકમ્ની વિચારધારાનું સન્માન છે તેવો ભાવ મોદીએ વ્યક્ત કર્યો હતો. નિકોસિયા
સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં યોજિત સમારોહ દરમ્યાન બન્ને નેતા વચ્ચે દ્વિપક્ષીય વેપાર,
સુરક્ષા, વૈશ્વિક સહયોગ અને રણનીતિક ભાગીદારી
પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. અગાઉ રાષ્ટ્રપતિ દ્વારા પ્રેસિડેન્શિયલ પેલેસમાં ભારતના
વડાપ્રધાન મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. છેલ્લા બે દશકમાં આ કોઈ ભારતીય પીએમની પહેલી
સાઈપ્રસ યાત્રા છે. પીએમ મોદીએ નિકોસિયામાં રાષ્ટ્રપતિ ક્રિસ્ટોડોલાઈડ્સ સાથે
વાતચીત કરી હતી. આદરમિયાન પીએમ મોદી અને સાઈપ્રસના રાષ્ટ્રપતિએ પશ્ચિમ એશિયા અને
યુરોપમાં ચાલી રહેલા સંઘર્ષ ઉપર ચિંતા વ્યક્ત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ
કહ્યું હતું કે આ યુગ યુદ્ધનો નથી. પીએમ મોદીએ સુરક્ષા પરિષદમાં ભારતના સ્થાયી
સભ્યપદનું સમર્થન કરવા બદલ સાઈપ્રસનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે,
ચાલુ વર્ષે ભારત-સાઈપ્રસ-ગ્રીસની ભાગીદારી શરૂ થઈ ચુકી છે.
ભારત-પશ્ચિમ એશિયા-યુરોપ આર્થિક કોરિડોર આ ક્ષેત્રમાં શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ
બનાવશે. જ્યારે સાઈપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સે કહ્યું હતું કે પીએમ
મોદી સાથે વિભિન્ન ક્ષેત્રમાં દ્વિપક્ષીય સંબંધો અને તાલમેલને વધારવાની ચર્ચા કરી
હતી. રક્ષા સહયોગ, સંકટ પ્રબંધન, પર્યટન,
નવાચાર અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઉપર કામ કરવા ઈચ્છા વ્યક્ત કરી
છે. સાથે મળીને કામ કરવા ઉપર સહમતિ બની છે. પીએમ મોદી અને સાઈપ્રસના રાષ્ટ્રપતિએ
પ્રતિનિધિમંડળ સ્તરે વાતચીત કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે સીમા પાર આતંકવાદ
સામે ભારતની લડાઈમાં સાઈપ્રસના નિરંતર સમર્થન માટે આભારી છે.