• મંગળવાર, 17 જૂન, 2025

પગપાળા વિહાર કરતા સાધુ-સાધ્વી ભગવંતોને પૂરતી સુરક્ષા પ્રદાન કરો

ભુજ, તા. 16 : તાજેતરમાં રાજસ્થાનના પાલી નજીક જૈનાચાર્ય પુંડરીક રત્નસૂરિજી મ.સા.ને જાણીબૂઝીને માર્ગ દુર્ઘટનાનો ભોગ બનાવતાં દેશભરના જૈન સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. આ ઘટનામાં જૈન મુનિ પુંડરીક રત્નસૂરિજી મ.સા. જેઓ જંબુવિજયજી મ.સા.ના પરમ શિષ્ય હતા. તેમનું અવસાન થતાં કચ્છના જૈન સમાજે પણ આ બનાવને સખત શબ્દોમાં વખોડી સમગ્ર દેશમાં પગપાળા વિહાર કરતા જૈન શ્રમણ-શ્રમણી વૃંદને પૂરતી સુરક્ષા પ્રદાન કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદન પાઠવાયું હતું. સમગ્ર ભારતવર્ષમાં આચાર્યો, સાધુ-સંતો, મુનિ ભગવંતો, શ્રમણ-શ્રમણી વૃંદ પગે ચાલીને દૂરદૂરનાં ગામડાં-શહેરો સુધી વિહાર કરતા હોય છે ત્યારે તેમને સુરક્ષા પ્રદાન કરવા સાથે રાજસ્થાનમાં ઘટેલી ઘટનામાં દોષિતોની તાત્કાલિક ઓળખ કરાવી કાયદા અનુસાર સંપૂર્ણ સખત સજા આપવા, તમામ મુખ્ય માર્ગો કે જેમનો શ્રદ્ધાળુઓ અને પદયાત્રિકો ઉપયોગ કરે છે, આવા માર્ગો ઉપર 3 ફૂટ પહોળી અને 1 ફૂટ ઊંચી ફૂટપાથ બનાવવા, રોડ ડિવાઇડર અને ટ્રાફિક નિયમોનું કડકપણે પાલન કરાવવા, રાષ્ટ્રીય પદયાત્રા સુરક્ષા મિશનના ભાગરૂપે પદયાત્રિકો ખાસ કરીને સંતો અને તીર્થ પદયાત્રિકોની સુરક્ષા માટે વિશેષ કાર્યક્રમ શરૂ કરવા તેમજ પદયાત્રિકોની સુરક્ષા અને  માનવજીવનનાં સન્માનનાં મહત્ત્વ વિશે જાગૃતિ ફેલાવવાની માંગ પાઠવાયેલા આવેદનપત્રમાં કરવામાં આવી હતી. ભુજ સાત સંઘના અધ્યક્ષ સ્મિતભાઇ ઝવેરીની આગેવાની હેઠળ ભુજ જૈન સાત સંઘ, જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક અચલગચ્છ સંઘ-ભુજ, ભુજ તપગચ્છ જૈન સંઘ, ભુજ ખરતરગચ્છ જૈન સંઘ, આઠ કોટિ મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ-ભુજ, આઠ કોટિ નાની પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ-ભુજ, ભુજ છ કોટિ સ્થાનકવાસી જૈન સંઘ, તેરાપંથ જૈન સંઘ, આરાધના ભવન જૈન સંઘ, કચ્છી દશા ઓસવાળ જૈન જ્ઞાતિ મહાજન-ભુજ, ભુજ માકપટ જૈન પરિવાર, અંજાર અચલગચ્છ જૈન સંઘ ટ્રસ્ટ, મુંદરા અચલગચ્છ જૈન સંઘ, અચલગચ્છ જૈન સંઘ-ગાંધીધામ, જૈન સોશિયલ ગ્રુપ-ગાંધીધામ, આઠ કોટિ મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ-ગાંધીધામ, આઠ કોટિ નાની પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ-ગાંધીધામ, જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ-ગાંધીધામ, કચ્છી વીશા ઓસવાળ જૈન મહાજન-ગાંધીધામ, વાગડ સાત ચોવીસી જૈન સમાજ-ભુજ, કચ્છી વીશા ઓસવાળ જૈન સંઘ, વાગડ બે ચોવીસી સ્થાનકવાસી જૈન મહાજન-ભુજ, માધાપર જૈન સમાજ-માધાપર, બી.જે.એસ. જૈન સંગઠન -કચ્છ, વર્ધનામ શ્વેતાંબર જિનાલય ટ્રસ્ટ-વર્ધમાન નગર તથા સમસ્ત જૈન યુવક મંડળના આગેવાનો સાથે જોડાયા હતા. પૂર્વ ધારાસભ્ય પંકજભાઇ મહેતા, હિતેષભાઇ ખંડોર, ધીરેન લાલન, શીતલ શાહ, જિગર શાહ સહિત કચ્છના આગેવાનો માટી સંખ્યામાં હાજર રહ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી માર્ગો ઉપર વહેલી સવારે વિહાર કરી રહેલા જૈન સાધુ-સાધ્વીઓને માર્ગ અકસ્માતોનો ભોગ બનાવવામાં આવે છે. આ ગંભીર ઘટનાઓની ઉચ્ચસ્તરીય તપાસ કરી દુર્ઘટનાઓ સર્જનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરાય તેવી સમગ્ર કચ્છ જૈન સમાજની લાગણી અને માગણી સરકાર સુધી પહોંચાડવા અનુરોધ કરાયો હતો. કલેક્ટરે રજૂઆત સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd