ભુજ, તા. 16 : શહેરની
ખારીનદી ખાતે નૂતન સ્મશાનગૃહ આસપાસ બેઠક વ્યવસ્થા વધારવા તેમજ પીવાના પાણીની
સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ ઊઠી છે. ભુજ નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલાં જ
ખારીનદી ખાતે નવું સ્મશાનગૃહ તૈયાર કરી સાંસદ તેમજ ધારાસભ્ય તથા સુધરાઇના
પદાધિકારીઓ હસ્તે લોકાર્પણ કરાયું. અહીં અગ્નિદાહની ઘોડી આસપાસ બેઠક વ્યવસ્થા રખાઇ
છે, પરંતુ જો
બહારના ભાગે વધુ બેઠક વ્યવસ્થા નિર્માણ કરાય તેમજ લાઇટોની સંખ્યા વધારાય, તો ડાઘુઓને સુવિધા મળી રહે. જો ગેસ આધારિત સ્મશાનની દીવાલનો થોડો ભાગ તોડી
અવર-જવર જેટલો માર્ગ રખાય તો પણ લોકોને
બેસવા માટે જગ્યા મળી રહે. આ ઉપરાંત અહીં પાણીની પણ યોગ્ય વ્યવસ્થા નથી કરાઇ. ગેસ
આધારિત સ્મશાનમાંથી પાણીની લાઇન ખેંચાઇ છે. જો વ્યવસ્થિત નળ સાથે જોડાણ અપાય તો
સ્વજનના અંતીમ દર્શને આવનારા લોકોને ઉપયોગી થશે તેવી લાગણી ફેલાઇ હતી.