• મંગળવાર, 17 જૂન, 2025

બનાસકાંઠામાં એસ.એમ.સી. પી.આઈ.ના માતા-પિતાની ઘાતકી હત્યાથી ચકચાર

ગાંધીધામ, તા. 16 : બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે પોતાની વાડીએ ગાઢ નિદ્રામાં સૂઈ રહેલા સ્ટેટ મોનિટરિંગ સેલના પી.આઈ.ના પિતા વરધાજી મોતીજી પટેલ (ચૌધરી) અને હોશીબેન વરધાજી પટેલની અજાણ્યા શખ્સોએ ક્રૂર રીતે હત્યા નીપજાવી હતી. હત્યાના આ બનાવને પગલે સમગ્ર રાજ્યમાં ચકચાર પ્રસરી હતી. પૂર્વ કચ્છ પોલીસ બેડામાં ફરજ બજાવતા તત્કાલીન પીએસઆઈ એ.વી. પટેલે અગાઉ સામખિયાળી, અંજારમાં ફરજ બજાવી હતી. અંજારથી તેમની સ્ટેટ મોનિટરિંગ સેલમાં બદલી થઈ હતી જ્યાં તેમને પીઆઈનું પ્રમોશન મળ્યું હતું. આ પીઆઈના વૃદ્ધ માતા-પિતા વરધાજી અને હોશીબેન જસરા ગામડે ખેતીવાડી કરતા હતા. ગત રાત્રે આ વૃદ્ધ દંપતી ખેતરે આવેલાં મકાન આગળ ખાટલા ઉપર સૂતા હતા. દરમ્યાન રાત્રે હત્યારાઓ ત્યાં પહોંચ્યા હતા અને નિદ્રામાં સૂતેલા દંપતી ઉપર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. આ ક્રૂર શખ્સોએ દંપતીના મોઢાં પર હથિયારોના ઘા ઝીંકી તેમની હત્યા નીપજાવી હતી. આ શખ્સોએ મહિલાના પગના કડલા કાઢવા માટે તેમના પગ જ કાપી નાખ્યા હતા અને કાનની બુટી કાઢી લીધી હતી તેમજ ઘરમાં સામાન વેરવિખેર કરી તિજોરી તોડી હતી. હત્યાના ક્રૂર બનાવને અંજામ આપી આ શખ્સો નાસી ગયા હતા. સવારે મજૂરો આવતાં આ દંપતિની લાશો લોહીલુહાણ હાલતમાં ખાટલામાં પડી હતી. દરમ્યાન આગથળા પોલીસને જાણ કરાઈ હતી. ઘરમાંથી ચોરી, લૂંટ, દાગીનાની લૂંટનાં પગલે પ્રાથમિક દૃષ્ટિએ હત્યાનો આ બનાવ લૂંટના ઈરાદે કરાયો હોવાનું પોલીસ તપાસ દરમ્યાન બહાર આવ્યું છે. પોલીસે ડોગ સ્ક્વોડ, એફએસએલની મદદ લઈ તેમજ આસપાસમાં આવેલા સીસીટીવીની મદદથી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. રાજ્યમાં પોલીસની સ્ટેટ મોનિટરિંગ સેલમાં પી.આઈ.ના માતા-પિતાની ક્રૂરતાપૂર્વક હત્યાનાં પગલે સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર પ્રસરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd