તેલ અવીવ/તેહરાન, તા. 16 : મધ્ય-પૂર્વની
સાથોસાથ આખી દુનિયામાં ઉચાટ ફેલાવનાર યુદ્ધની આગ સોમવારે સળંગ ચોથા દિવસે બેકાબૂ
બની હતી. ઈરાને આજે સવારે મધ્ય ઈઝરાયલમાં અનેક જગ્યાઓ પર બેલેસ્ટિક મિસાઈલો છોડીને
હુમલા કર્યા હતા. છેલ્લા ચાર દિવમાં ઈરાને કરેલા સૌથી મોટા હુમલામાં આઠ લોકોનાં
મોત થઈ ગયાં હતાં, તો 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. બીજી તરફ, જીતના પંથ પર હોવાના
દાવા સાથે આક્રમક બનેલી ઈઝરાયલી સેનાએ આજે સાંજે ફરી ભીષણ હવાઈ હુમલા કર્યા હતા. એ
દરમ્યાન તેહરાને યુદ્ધ બંધ માટે કાલાવાલા કર્યા... અખાતી દેશો તથા અમેરિકાને કહ્યુyં છે કે, ઈઝરાયલ હુમલા રોકે તો
પોતે કાર્યવાહી નહીં કરે. ઈરાની રાજધાની તેહરાનમાં સરકારી ન્યૂઝ ચેનલ ઈસ્લામિક
રિપબ્લિક ઓફ ઈરાન બ્રોડકાસ્ટિંગ (આઈઆરઆઈબી)ની ઈમારત પર ઈઝરાયલી વાયુદળે બોમ્બ
હુમલો કર્યો હતો. આ હુમલો થયો તે વખતે ટીવી એન્કર લાઈવ શો સંચાલિત કરી રહી હતી.
જેનો આબાદ બચાવ થયો હતો. ઘટનાનો વીડિયો તરત સામે આવ્યો હતો, જેમાં
એન્કર ધડાકો થતાં જ સ્ટુડિયોમાંથી બહાર ભાગતી દેખાય છે. તેની ખુરશી પાસે જ કાટમાળ
ધડાધડ પડવા માંડયો હતો. ઈરાનના હુમલામાં અત્યાર સુધી ઈઝરાયલમાં 24 લોકોનાં
મોત થયાં છે, તો 600થી વધુ લોકો ઘાયલ થયા છે. બીજી તરફ, ઈઝરાયલી હુમલાઓમાં ચાર
દિવસમાં ઈરાનના 224થી વધુ લોકો જીવ ખોઈ ચૂક્યા છે, તો 1277થી
વધુ ઘાયલ થઈ ચૂક્યા છે. અમેરિકી માનવ અધિકાર સંસ્થાએ ઈરાનમાં 406 મોતનો
દાવો કર્યો હતો. મિસાઈલોની ઘરઘરાટી... બોમ્બ હુમલાના ધડાકાથી ધણધણતી ધરતીથી ધ્રૂજી
ઊઠતા બંને દેશના નાગરિકો ભારોભાર ભયના ઓથાર હેઠળ ઉચાટભેર જીવી રહ્યા છે, ત્યારે ઈરાનના
રાષ્ટ્રપતિ મસૂદ પજશકિયાને અમેરિકા ઈઝરાયલને હુમલા કરતું રોકે, તેવી અપીલ કરી હતી. બીજી તરફ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ
મોટો દાવો કરતાં કહ્યુyં હતું કે, ઈરાનના સમગ્ર આકાશ પર
અમે કબજો જમાવી લીધો છે. તેમણે કહ્યું હતું કે, ઈઝરાયલ જીતના
પથ પર છે. તેલ અવીવને યુદ્ધ રોકવાનું કહેવાની ઈરાની અપીલ બાદ અમેરિકી રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પે જી-7 શિખર સંમેલનના મંચ પરથી એવી
ચેતવણી આપી હતી કે, ઈરાન આ યુદ્ધ જીતી નહીં શકે. મોડું થઈ જાય, તે
પહેલાં ઈરાની સરકારે વાતચીત માટે આગળ આવવું જોઈએ. ઈરાનનાં આરોગ્ય મંત્રાલયે
સત્તાવાર આપેલી જાણકારી અનુસાર 13 જૂને ઘર્ષણ શરૂ થયા બાદ ઈઝરાયલના
હુમલામાં 224 લોકોનાં મૃત્યુ થયાં છે અને 1277થી
વધુ ઘવાયા છે, તો અમેરિકા સ્થિત માનવ અધિકાર સમૂહ દ્વારા ઈરાનમાં 400થી વધુ
લોકો મરાયા હોવાનો દાવો કરવામાં આવે છે. આ પહેલાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ
પજશકિયાને કહ્યું હતું કે, ઈઝરાયલ જો પોતાનું અભિયાન અટકાવશે નહીં તો તેહરાન તરફથી ઈઝરાયલ સામે
અભૂતપૂર્વ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, ઈરાન પરમાણુ વાટાઘાટોમાં પણ સામેલ નહીં થાય. તેમણે ફ્રાન્સમાં પોતાના
સમકક્ષ ઈમેન્યુઅલ મેક્રોંને કહ્યું હતું કે, ઈરાન કૂટનીતિથી
મામલો ઉકેલવાના પક્ષે છે, પણ કોઈ દબાણ કે તર્કહીન માગણીઓનો
કોઈ પણ ભોગે સ્વીકાર નહીં થાય. ઈઝરાયલની વાત કરવામાં આવે તો રવિવારની રાતે ઈરાને
બોલાવેલા હુમલામાં ત્યાં 10 જેટલા લોકો મરાયાં હતાં. અત્યાર
સુધીમાં ઈઝરાયલમાં 13નાં મોત થયાં હોવાનું જાણવા મળે છે. ઈઝરાયલના અધિકારીઓના
કહેવા અનુસાર હાઈફાના પૂર્વમાં અરબ શહર તમરામાં એક ઈમારતમાં ચાર લોકો મૃત્યુ
પામ્યાં હતાં. ઈરાનના હુમલામાં દેશમાં કુલ 200 ઘાયલ થયા છે. ઈરાનની રાજધાની તેહરાનની બહાર નીકળતાં માર્ગો
ઉપર વાહનોનો સૈલાબ આવી ગયો છે. ઈઝરાયલના અંધાધૂંધ હુમલાઓ વચ્ચે જેને જુઓ તેને
તેહરાનની બહાર નીકળી જવાની ઉતાવળમાં છે. તેહરાનમાં જ્યાં જુઓ ત્યાં અફરાતફરી અને
અંધાધૂંધી જેવી હાલત છે. જીવ બચાવવા માટે ગ્રામીણ વિસ્તારો ભણી લોકોની દોટનાં
કારણે ચારેકોર વાહનોના થપ્પા લાગી ગયા છે. ઈરાન અને ઈઝરાયલના ઘર્ષણ વચ્ચે આજે એક
મોટો અને ચોંકાવનારો આંતરરાષ્ટ્રીય કૂટનીતિક વળાંક આવ્યો હતો. ઈરાનના એક શીર્ષ
અધિકારીએ એક દાવો કરીને પાકિસ્તાનને મૂંઝવણમાં મૂકી દીધું છે. તેણે દાવો કર્યો હતો
કે, જો
ઈઝરાયલ પરમાણુ મિસાઈલનો પ્રયોગ કરશે તો પાકિસ્તાન ઈઝરાયલ ઉપર અણુબોમ્બ ઝીંકી દેશે.
જો કે, ઈરાનના આ દાવાના અમુક કલાકમાં જ પાકિસ્તાનને તેની
ગંભીરતાનું ભાન થઈ ગયું હતું અને દાવો નકારી કાઢતાં કહ્યું હતું કે, તેના તરફથી આવું કોઈ જ આશ્વાસન ઈરાનને અપાયું નથી. ઈરાનના શીર્ષ અધિકારી
મોહસીન રેઝાઈએ એક નિવેદનમાં કહેલું કે, ઈઝરાયલ પરમાણુ
હથિયારનો ઉપયોગ કરશે તો પાકિસ્તાન પણ અણુશત્ર ઉગામશે તેવું પાકિસ્તાને અમને કહેલું
છે. જો કે, ઈરાનના આ દાવા પછી દુનિયાના ભવાં ખેંચાતાં પાક.ના
રક્ષામંત્રી ખ્વાજા આસિફે હાંફળાફાંફળા ખુલાસા કરવા માંડયા હતા કે, ઈસ્લામાબાદે ઈઝરાયલ વિરુદ્ધ અણુ હુમલાની કોઈ વાત કરી નથી.