ભુજ, તા. 16 : કચ્છમાં
શનિ અને રવિવારનો દિવસ કોરોના વિહોણો પસાર થયા બાદ આજે સપ્તાહના ઊઘડતા દિવસે
જિલ્લા મથક ભુજ તેમજ ગાંધીધામમાં કોરોનાનો એક-એક કેસ નોંધાતાં અત્યાર સુધી
જિલ્લામાં નોંધાયેલ પોઝિટિવ કેસનો આંકડો 58 પર પહોંચ્યો છે. ત્રણ લોકોએ
કોરોનાને મહાત આપી સ્વસ્થ થતાં સક્રિય કેસ ઘટીને 21 પર પહોંચ્યા છે. આરોગ્ય
વિભાગમાંથી મળેલી સત્તાવાર વિગત અનુસાર ભુજમાં 32 વર્ષીય યુવતી અને ગાંધીધામમાં 42 વર્ષીય
પુરુષ કોરોના સંક્રમિત થયા છે. શનિ અને રવિવારે એક પણ પોઝિટિવ કેસ ન નોંધાતાં રાહત
મળી હતી, સામે
શનિથી સોમના ત્રણ દિવસના ગાળામાં 13 લોકોનો હોમઆઇસોલેશનનો ગાળો પૂર્ણ
થતાં તેઓ કોરોનામુક્ત થયા છે. આરોગ્ય વિભાગના જણાવ્યાનુસાર કોરાનાનો આ વર્તમાન
વેરિયન્ટ જોખમી નથી એનો એ વાત પરથી ખ્યાલ આવી રહ્યો છે કે, જે લોકો સંક્રમિત થઇ
રહ્યા છે તેમના સંપર્કમાં આવેલા લોકોમાં પણ કોરોનાનાં કોઇ લક્ષણ જોવા મળતાં નથી.
આમ છતાં તકેદારીના ભાગરૂપે જો શરદી-તાવનાં લક્ષણ દેખાય તો આવશ્યક પગલાં ભરતાં
રહેવાની સૂચના આપવામાં આવી છે.