ભુજ, તા. 16 : તાલુકાના
કનૈયાબે ગામમાં શાંતિ સમિતિની સોમવારે યોજાયેલી બેઠક દરમિયાન પોલીસે ગ્રામજનો સાથે
વાહનો બાબતે કરેલી કાર્યવાહીનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. પોલીસે ખોટી રીતે
કાર્યવાહી કરી હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે, જ્યારે પદ્ધર પોલીસે કહ્યું હતું કે,
જે કાર્યવાહી થઈ છે તે નિયમો અનુસાર તથા નિયમોનો ભંગ કરનારા સામે થઈ
છે. કનૈયાબેમાં યોજાયેલી શાંતિ સમિતિની બેઠક યોજવા પોલીસે કહ્યા બાદ સાંજના સમયે
બેઠક સ્થળે ગ્રામજનો તથા આગેવાનો પૈકીના હાજી જુસબશા જમનશા શેખ, સરપંચ પદના ઉમેદવાર જુમા કારા કોલી અને શંભુ અલુ કોલી ઉપરાંત કાસમશા
અલ્લારખ્યા, ઓસમાણશા મામદશા, ભાકરશા
ભચલશા તેમજ સહિતના અગ્રણીઓ હાજર હતા, ત્યારે પદ્ધર પોલીસે
દ્વારા ગામના વાહનચાલકોને મેમો આપવા સાથે વાહનો ઉઠાવ્યા હતા. આ બાબતે ગામના
અગ્રણીઓ મંગળવારે પોલીસવડાને આવદન પાઠવશે તેમ અગ્રણીઓ દ્વારા જણાવાયું હતું. બીજી
તરફ આ બાબતે પદ્ધર પોલીસનો સંપર્ક સાધતાં જાણવા મળ્યું હતું કે, ગામમાં વાહનચાલકો વિરુદ્ધ કરાયેલી કાર્યવાહી નિયમ મુજબ જ થઈ હતી.