મુંદરા, તા. 6 : આગામી 22મી જૂનના યોજાનારી ગ્રામ પંચાયતોની અને
પંચાયતોની પેટાચૂંટણીનાં વાતાવરણે હવે જમાવટ કરી દીધી છે. નવમી જૂનના ફોર્મ ભરવાનો
છેલ્લો દિવસ છે અને બે દિવસ વચ્ચે જાહેર રજા અને રવિવાર હોવાથી આજે મુંદરા તાલુકા મથકે
મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતમાં ગામેગામથી ઉમેદવારીપત્ર ભરવા આવનારાઓનો ધમધમાટ
જોવા મળ્યો હતો. શુક્રવાર સાંજ સુધીના આંકડા મુજબ,
મુંદરા તાલુકાની 26 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. તેમાં, સરપંચ પદ માટે કુલ 22 ફોર્મ ભરાયાં છે અને સભ્યપદ
માટે 108 ફોર્મ ભરાયાં છે. રાજકારણની
પાપા પગલીમાં મહત્ત્વનું કદમ ગણાય છે એવી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આમ તો બીજી જૂનથી
ઉમેદવારીપત્ર ભરવાનું શરૂ થયું હતું, પરંતુ મુંદરા તાલુકામાં પહેલા ત્રણ દિવસ શાંતિ રહ્યા બાદ પાંચમી તારીખના સરપંચ
પદ માટે એક પણ ફોર્મ ભરાયું નહોતું અને સભ્યપદ માટે પાંચ ફોર્મ ભરાયાં, પરંતુ શુક્રવારે સરપંચ પદ માટે કુલ
22 અને સભ્યપદ માટે 102 ફોર્મ ભરાતાં ગામડાંઓમાં રાજકીય
ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. સત્તાવાર મળેલી વધુ વિગત મુજબ, સરપંચ માટે સૌથી વધુ રતાડિયા અને શેખડિયામાં
ત્રણ- ત્રણ ફોર્મ ભરાયાં છે. જ્યારે ગ્રામ
પંચાયતોની પેટાચૂંટણી મુંદરા તાલુકાની 12 ગ્રામ પંચાયતમાં થવાની છે,
જેમાં સરપંચ પદ માટે માત્ર કારઘોઘા ગામમાંથી બે ફોર્મ ભરાયાં છે,
જ્યારે સભ્યપદ માટે હજુ કોઈ ઉમેદવારી નથી નોંધાઈ. દરમિયાન, શુક્રવારે મુંદરાની મામલતદાર કચેરી
અને તાલુકા પંચાયત કચેરી બહાર મોટી સંખ્યામાં ગામલોકો એકત્ર થતાં ચૂંટણીનો માહોલ જામેલો
દેખાયો હતો. આ તબક્કે મળી ગયેલા જિલ્લા પંચાયત સદસ્ય પ્રદ્યુમનાસિંહ જાડેજાએ કચ્છમિત્રને
જણાવ્યું હતું કે, જાતિ પ્રમાણપત્રના દાખલા કાઢવા માટે સંભવિત
ઉમેદવારો માટે ખાસ તાકીદની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. કારણ કે, ઘણા
એવા ઉમેદવાર છે કે, જેઓ આ પ્રમાણપત્ર હજુ સુધી નહીં મળતાં અનામત
બેઠકનાં ફોર્મ નથી ભરી શકતા. હવે બે દિવસની રજા આવે છે અને છેલ્લા દિવસે સોમવાર સુધીમાં
આવા પ્રમાણપત્ર નહીં મળે તો એમના માટે તક ગુમાવવાનો વારો આવે એવી સ્થિતિ છે.