• શનિવાર, 07 જૂન, 2025

કોહલી સામે ફરિયાદ, આરસીબી અધિકારીની ધરપકડ

બેંગ્લુરુ, તા. 6 : ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર થયેલી ભાગદોડના સંદર્ભમાં શુક્રવારે આરસીબી અને ઇવેન્ટ મેનેજમેન્ટ ફર્મ ડીએનએ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના ચાર અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી. તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. આરસીબીના માર્કેર્ટિંગ અને આવક વિભાગના વડા નિખિલ સોસાલે તથા ડીએનએના ત્રણ અધિકારી સુનીલ મેથ્યુ, કિરનકુમાર, સુમંતની ધરપકડ કરાઇ હતી. સામાજિક કાર્યકર એચ. એમ. વેંકટેશે તેની કબ્બન પાર્ક પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં કોહલીને જીવલેણ દુર્ઘટના માટે જવાબદાર ઠરાવ્યો હતો. ફરિયાદીએ કહ્યું હતું કે, વિરાટ કોહલી જેવા મોટા ખેલાડીએ ભીડને સંયમ વર્તવાની અપીલ કરવાની જરૂર હતી. કોહલીની લોકપ્રિયતાને કારણે ભીડ વધતી ગઇ અને ભાગદોડની દુર્ઘટના સર્જાઇ હતી. દરમ્યાન, સામાજિક કાર્યકર્તા એચ. એમ. વેંકટેશે ક્રિકેટર વિરાટ કોહલી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં ચાર જૂને આરસીબીની પ્રથમ આઇપીએલ ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડ માટે તેને જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો. જો કે, પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, તેમની ફરિયાદ પર હજુ સુધી કોઇ એફઆઇઆર નોંધવામાં આવી નથી. કર્ણાટક સરકારે શુક્રવારે એમએલસી કે ગોવિંદરાજને  મુખ્યમંત્રી સિદ્ધારામૈયાના રાજકીય સચિવ પદેથી દૂર કર્યા અને ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડ બાદ અધિક પોલીસ મહાનિર્દેશક (એડીજીપી) ગુપ્તચર, હેમંત નિમ્બાકરની બદલી કરી દીધી. દરમ્યાન, કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંગઠનને હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસીએશન (કેએસસીએ)ના અધ્યક્ષ રઘુરામ ભટ અને કેટલાક અન્ય પદાધિકારીઓએ શુક્રવારે કર્ણાટક હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, જેમાં આરસીબીના આઈપીએલ વિજયના જશ્ન વખતે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભાગદોડના કેસમાં નોંધાયેલી એફઆઈઆર રદ કરવાની વિનંતી કરી હતી. કોર્ટે આ મામલાની સુનાવણી કરતી વખતે રાજ્ય ક્રિકેટ સંઘના પદાધિકારીઓ સામે દંડાત્મક કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી. કર્ણાટક પોલીસે ગુરુવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ડીએનએ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસીએશન (કેએસસીએ) વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. આ પછી કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસીએશન (કેએસસીએ)એ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. કોર્ટે કહ્યું કે આગામી સુનાવણી સુધી કોઈ પણ અધિકારી સામે કોઈ બળજબરીથી કાર્યવાહી થવી જોઈએ નહીં. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd