મોરબી, તા. 6 : ટંકારાના ચકચારી જુગાર તોડકાંડમાં
ફરાર પીઆઈની એસએમસીએ આદિપુરથી ધરપકડ કર્યા બાદ તેઓને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરતાં
કોર્ટે સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ટંકારા પોલીસ મથકના તત્કાલીન પીઆઈ યુવરાજાસિંહ
ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપત સોલંકી સહિત પોલીસ કર્મીઓએ તા. 24 ઓક્ટોબર 2024ની રાતે કમ્ફર્ટ રિસોર્ટના
રૂમ નં. 105માં ઘૂસી 8 લોકોને જુગાર કેસમાં પકડીને તોડ કર્યો હતો.
તેઓએ જુગારનો કેસ દાખલ નહીં કરવા, મીડિયામાં
ફોટા નહીં આપવા, પોલીસ ફરિયાદમાં નામ ફેરવી નાખવા, સવારે જામીન આપી દેવાની અવેજીમાં 51 લાખ લીધા હોવાનું કહેવાય છે. આ કેસની તપાસ માટે એસએમસીની ટીમે
પણ ઝુકાવ્યું હતું. જે બાદ તાજેતરમાં હેડ કોન્સ્ટેબલ મહિપત સોલંકીએ આત્મસમર્પણ કર્યું
હતું. બાદમાં ફરાર પીઆઈ વાય.કે. ગોહિલને એસએમસીની ટીમે કચ્છના આદિપુરથી પકડી લીધા બાદ
10 દિવસના રિમાન્ડની માંગ સાથે
કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે સોમવાર સુધીના
રિમાન્ડ મંજૂર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, રિમાન્ડ દરમિયાન આ પીઆઇ આટલા દિવસ સુધી ક્યાં ક્યાં રોકાયા હતા, તોડ કરેલા નાણાં ક્યાં છે તે સહિતની દિશામાં સઘન તપાસ કરવામાં આવશે. વધુમાં
તેઓનો મોબાઈલ એફએસએલમાં તપાસ અર્થે મોકલી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.