ગોપાલ પટેલ દ્વારા : કેરા (તા. ભુજ), તા. 6 : ઔદ્યોગિક
વિકાસમાં અગ્રિમ કચ્છ હવે શિક્ષણ ક્ષેત્રે ક્ષીતિજ વિસ્તારી રહ્યો છે. ગત વર્ષે ધોરણ-10 અને 12માં 150ની સરખામણીએ ચાલુ વર્ષે 720 કચ્છી વિદ્યાર્થીએ એ-વન ગ્રેડ પાપ્ત કર્યા છે, જેને શુક્રવારે ભુજ ખાતે કલેક્ટર અને એસ.પી.ના
હસ્તે મેડલ પ્રમાણપત્ર એનાયત કરી વિશેષ ઓવારણાં લેવાયાં હતાં. જિલ્લા શિક્ષણાધિકારી
કચેરી અને કચ્છી લેવા પટેલ જ્ઞાનવેલી એકેડેમી આયોજિત કાર્યક્રમ ભુજ સરદાર પટેલ સંકુલના
ધનબાઇ પ્રેમજી ગાંગજી કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો હતો, તાજેતરમાં
`ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ
બોર્ડ-ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2025માં લેવાયેલ એસ.એસ.સી. પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી એ-1 ગ્રેડ મેળવી શિક્ષણ ક્ષેત્રે જિલ્લાનું
નામ અગ્રેસર કરેલા 730 વિદ્યાર્થીનું
સન્માન કચ્છ કલેક્ટર આનંદ પટેલનાં અધ્યક્ષ પદે અને (એસ.પી. પશ્ચિમ કચ્છ) વિકાસ સુંડાના
મુખ્ય અતિથિ પદે કરવામાં આવ્યું હતું. અતિથિ વિશેષ સમાજ પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા, સમાજમોભી પૂર્વ અધ્યક્ષ અરજણભાઈ પિંડોરિયા,
શિક્ષણવિદ કેશરાભાઈ પિંડોરિયા, જાણીતા દાતા કે.કે.
પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના સંચાલક જી.એમ. ગોરસિયા ત્રણેય પાંખોના સભ્યો,
શિક્ષક સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભે આર.ડી. વરસાણી કુમાર
વિદ્યાલયના સંગીત વૃંદ દ્વારા પ્રાર્થનાથી શરૂ થયેલા કાર્યક્રમનો પ્રસંગ પરિચય આપતાં
જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે કચ્છનાં પરિણામોમાં થયેલા સુધારાનો ચિત્તાર આપ્યો
હતો અને વિદ્યાર્થીઓને હજુ પણ પ્રગતિ સાધવા અપીલ કરી હતી. કલેક્ટર શ્રી પટેલે વકતવ્યમાં
સામાજિક દાતાઓએ પોતાના માતા-પિતાના નામે સ્કૂલો બનાવી સુવિધાઓ કરી આપ્યાનો ઉલ્લેખ કર્યો
હતો, જેમાં સામત્રાના દાતા આર.ડી. વરસાણી (નૈરોબી)એ માતા રતનબેનનાં
નામથી, જ્યારે હસુભાઈએ વેલીબેન અને રતનબેનનાં નામે સંકુલ નિર્માણની
નોંધ લેવાઈ હતી, સાથે શ્રી પટેલે વિદ્યાર્થીઓને `સ્વચ્છતા' અંગે જાગૃત થવા તેમજ અન્યોને જાગૃત કરવા જણાવ્યું
હતું. `સબળ માતા થકી સબળ સંતાન અને સમાજનું નિર્માણ
થતું હોય છે', એક સમયે પછાત ગણાતું કચ્છ
આજે શ્રેષ્ઠીઓ અને દાતાઓ થકી ખૂબ જ પ્રગતિને વર્યું છે અને આ પ્રગતિને હજુ ગતિ અપાવવા
આવતી તકને ઝડપી લેવા આહ્વાન કર્યું હતું. જિલ્લા પોલીસવડા વિકાસ સુંડાએ `બુદ્ધિમતા વિકાસ' સાથે `શારીરિક સૌષ્ઠવ' પ્રત્યે ધ્યાન આપવા પર ભાર મૂકી `સોશિયલ મીડિયા'નો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવા ટકોર કરી હતી. તેમણે
કચ્છ પોલીસ તંત્રમાં સ્થાનિક સંખ્યા વધે તેવો ભાવ વ્યક્ત કરી કચ્છમાં સ્પોર્ટ્સ કલ્ચર
વધારવા અપીલ કરી હતી. `જ્ઞાનવેલી'ના સંયોજક
હરેશભાઈ ખોખાણીએ શિક્ષણ ક્ષેત્રે કચ્છની હરણફાળની નોંધ લઇ ડોક્ટર્સ,
એન્જિનીયર્સની કારકિર્દીમાં એકાગ્રતાની જરૂરિયાત પર લક્ષ્ય સાધવા ઉપસ્થિત
`બુદ્ધિધન'ને જણાવ્યું હતું. કચ્છી લેવા પટેલ એજ્યુકેશન
એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત માતા વેલીબેન કાનજી ભુડિયા `જ્ઞાનવેલી એકેડેમી' (નીટ/જી)નાં સૌજન્યથી યોજાયેલા કાર્યક્રમને
સફળ બનાવવા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી પરમારનાં માર્ગદર્શન હેઠળ સેડાતાના આચાર્યા વસંત
પટેલે સંકલન કર્યું હતું, શિક્ષણ વર્ગ-2 આચાર્યો નાસીર હુસેન મન્સૂરી, વનિતાબેન મહિડા, પૃથ્વીરાજાસિંહ
ઝાલા, મ.શિ.નિ. પરેશભાઈ અજાણી, અમિતભાઈ
ધોળકિયા, ડો. મેનાબેન મોઢા, મૂરજીભાઈ મીંઢાણી,
ડો. અશ્વિનાસિંહ વાઘેલા, દિનેશભાઈ દેસાઈએ જહેમત
ઉઠાવી હતી, વસંતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આર.ડી. વરસાણી હાઇસ્કૂલના
આચાર્યા કોમલબેન ઠક્કર, ભરત જોશી, રામજી
સેંઘાણી, કિશોર વેકરિયા, શામજી પિંડોરિયાએ
સહયોગ આપ્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રાસિંહ વાઘેલા,
સર્વે શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સંઘના હોદ્દેદારો, વર્ગ-2 આચાર્યો, વાલીઓ અને શિક્ષકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત
રહ્યા હતા. આ તબક્કે `રણોત્સવ' દરમ્યાન `સ્વચ્છતા જાગૃતિ' કાર્ય કરનારી સંસ્થાઓનું પણ સન્માન કરવામાં
આવ્યું હતું. શબ્દ સંકલન ભૂમિબેન ચોક્સી, હનીબેન રાઠોડે કર્યું
હતું. કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાયું હતું. બંને હાથ ગુમાવનારા કુંભાર મામદ ફરહાન
ઈરફાનનું મોઢામાં પેન રાખી પેપર લખી એ-વન ગ્રેડ મેળવવા બદલ સન્માન સ્વીકાર્યું
હતું.