નવી દિલ્હી, તા. 6 : તિરંગો લહેરાવીને
ચિનાબ નદી પર બનેલા દેશ જ નહીં, પરંતુ
દુનિયાના સૌથી ઊંચા ચિનાબ બ્રિજનું લોકાર્પણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરની
ભૂમિ પરથી આતંકપરસ્ત પાકિસ્તાનને વધુ એકવાર આકરો સંદેશ આપ્યો હતો. મોદીએ જણાવ્યું હતું
કે, પાકે ઈન્સાનિયત જ નહીં, પરંતુ કાશ્મીરિયત
પર પણ હુમલો કર્યો હતો, પરંતુ ભારતે જડબાંતોડ જવાબ આપ્યો અને
શૂરવીર સેનાઓએ પાકિસ્તાની પીઠબળથી ધમધમતાં આતંકવાદી ઠેકાણાઓનો ખાતમો બોલાવી દીધો. મોદીએ
મહત્વના અને ઈજનેરી અજાયબી સમા પુલને લીલીઝંડી આપ્યા બાદ પાક સામે લાલ આંખ કરી હતી. પાકિસ્તાન `ઓપરેશન સિંદૂર' વિશે વિચારશે તો તેને તરત પોતાની કારમી હાર
યાદ આવશે. પાકિસ્તાને કદી વિચાર્યું નહોતું કે ભારત અંદર આવીને આવા ઘાતક હુમલા કરશે.
આતંકવાદી અડ્ડા ખંડેર બની ગયા છે. પાક બોખલાઈ ગયું છે, તેવું
મોદીએ જણાવ્યું હતું. પહેલગામ આતંકવાદી હુમલા બાદ પહેલીવાર જમ્મુ-કાશ્મીર પ્રવાસે પહોંચેલા
વડાપ્રધાન મોદીએ ચિનાબ બ્રિજ બાદ અંજી બ્રિજનું લોકાર્પણ કર્યું હતું અને કટરામાં કાશ્મીરની
પહેલી વંદે ભારત ટ્રેનને લીલીઝંડી પણ આપી હતી. હાથમાં તિરંગો લેહરાવીને ચિનાબ બ્રિજની
ભેટ દેશને સોંપતાં મોદીએ કટરામાં 42 મિનિટના ભાષણમાં કહ્યું હતું કે, પાકના નાપાક ઈરાદા કાશ્મીરના મહેનત કરીને જીવતા
લોકોને તેમની આજીવિકાથી વંચિત કરવાના છે. કાશ્મીરીઓની
કમાણી છીનવી લેવાના છીછરા ઈરાદા સાથે જ આતંકવાદની મદદથી પાકિસ્તાને કાશ્મીરનાં પહેલગામમાં
પર્યટકો પર હુમલો કરાવ્યો, તેવું મોદી બોલ્યા હતા. વડાપ્રધાને
કહ્યું હતું કે, આતંકવાદીઓને પડકારનારો કાશ્મીરનો યુવાન આદિલ
પણ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે મહેનત કરી રહ્યો હતો. પાકે તેની પણ હત્યા કરી
નાખી. પાકના આવા નાપાક કારસા વિરુદ્ધ હવે કાશ્મીરના લોકોમાં ભારે રોષ છે. કાશ્મીરી
લોકોએ વિશ્વને સંદેશ આપ્યો છે કે, કાશ્મીર આતંકવાદને આકરો જવાબ
આપવાનો સંકલ્પ લઈ ચૂક્યું છે. વડાપ્રધાન મોદી બોલ્યા હતા કે, લોકો દુનિયાભરમાં ફ્રાન્સનો એફિલ ટાવર જોવા જાય છે, પરતું
આપાણો ચિનાબ નદી પર બનેલો આર્ચ બ્રિજ એ ટાવરથીએ ઊંચો છે. આ બ્રિજ વિશ્વભરના સહેલાણીઓ માટે પ્રવાસન સ્થળરૂપે
આકર્ષણનું કેન્દ્ર બનશે.