• શનિવાર, 07 જૂન, 2025

વ્યાજદરમાં 0.50 ટકા ઘટાડો, લોન સસ્તી થશે

નવી દિલ્હી, તા. 6 : દેશનો સામાન્ય જણ મોંઘવારીનો માર ખમીને માંડ માંડ જીવી રહ્યો છે, ત્યારે થોડીક રાહત આપતાં સમાચાર મળ્યા છે. ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)એ દેશનાં અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ વધારવાના હેતુ સાથે શુક્રવારે સળંગ ત્રીજીવાર ચાવીરૂપ રેપોદરમાં ઘટાડો કર્યો છે અને 0.50 ટકાનો કાપ મૂકી દીધો છે. સાથોસાથ કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર)માં પણ એક ટકાનો કાપ મૂક્યો છે, જેનાં પગલે દેશની બેન્કિંગ વ્યવસ્થામાં નવેમ્બર સુધીમાં અઢી લાખ કરોડ રૂપિયાનો નાણાં પ્રવાહ વધશે. આરબીઆઈની આર્થિક નીતિ સમિતિની ત્રણ દિવસની બેઠકમાં ચાલેલાં છ સભ્યોનાં મંથનના અંતે 0.50 ટકાના ઘટાડાની રાહત અપાતાં હવે વ્યાજદર 5.50 ટકા થઈ ગયો છે, જેનાં પગલે હોમ લોન, કાર લોન, પર્સનલ લોન સસ્તી થશે. ધિરાણ સસ્તાં થવાથી સમાન માસિક હપ્તા (ઈએમઆઈ)નાં ભારણમાં પણ ઘટાડો થશે, જે મધ્યમવર્ગના લોનવાંચ્છુઓ માટે લાંબાગાળે થોડોક ફાયદો કરાવી જશે. રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ શુક્રવારની સવારે આર્થિક નીતિ સમિતિના બેઠક બાદ લેવાયેલા ફેંસલાની જાણકારી આપી હતી. એક ઉદાહરણ સાથે લોન સસ્તી થવાનું ગણિત સમજીએ તો 0.50 ટકા વ્યાજદર ઘટાડા બાદ 20 વર્ષ માટે લીધેલી 20 લાખ રૂપિયાની લોન પર 1.48 લાખ રૂપિયા જેટલો ફાયદો થશે.  એ જ રીતે 30 લાખ રૂપિયાની લોન લેનાર ગ્રાહકના 2.22 લાખ રૂપિયા બચશે. આજે ઘટાડાયેલા વ્યાજદરનો લાભ જૂના અને નવા બંને પ્રકારના ગ્રાહકોને થશે.  રેપોદર ઘટતાં બેન્કો ઘર અને વાહન જેવી લોન પર વ્યાજદરો ઘટાડીને ગ્રાહકોને તેનો ફાયદો પહોંચાડતી હોય છે.  વ્યાજદર ઘટવાથી ઘરોની માંગ વધશે અને વધુ પ્રમાણમાં લોકો રિયલ એસ્ટેટનાં ક્ષેત્રમાં રોકાણ કરશે. દરમ્યાનઆરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, કેશ રિઝર્વ રેશિયોમાં એક ટકા ઘટાડો કરી ચાર ટકામાંથી ત્રણ ટકા કરવાનો ફેંસલો લેવાયો છે.  રિઝર્વ બેન્કના કેશ રિઝર્વ રેશિયોમાં કાપનાં પગલાંથી અઢી લાખ કરોડ રૂપિયા નાણાકીય પ્રણાલીમાં ઠલવાશે.  સંજય મલ્હોત્રાએ કહ્યું હતું કે, નાણાકીય વર્ષ 2026 માટે છૂટક ફુગાવાનું અનુમાન 0.3 ટકા ઘટાડીને 3.7 ટકા કરી નાખવામાં આવ્યું છે. ફુગાવામાં ઘટાડાનું અનુમાન પ્રમુખ ઘટકોની કિંમતમાં નરમાશનો ઈશારો કરે છે. આ ઉપરાંત જીડીપી વૃદ્ધિદરનું અનુમાન 6.5 ટકા જાળવી રાખવામાં આવ્યું છે. આરબીઆઈની મૌદ્રિક નીતિ સમિતિની બેઠકનાં અંતે આજે કરવામાં આવેલા નિર્ણયોની ઘોષણા કરતાં ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું હતું કે, વૈશ્વિક સ્થિતિ નાજૂક છે અને વિભિન્ન દેશોનાં આર્થિક પરિદૃશ્યો પણ કમજોર બનેલાં છે. આ સંજોગોમાં પણ ભારતનું અર્થતંત્ર મજબૂત છે. તેમણે આગળ કહ્યું હતું કે, બહુ જ ટૂંકાગાળામાં ચાવીરૂપ વ્યાજદરમાં કુલ મળીને 1 ટકાનાં ઘટાડા બાદ હવે એમપીસી ભવિષ્યની નીતિ તૈયાર કરવા માટે આવકના આંકડા અને અર્થતંત્રમાં જોવા મળતા પરિણામોનું સાવધાનીપૂર્વક આકલન કરશે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd