• શનિવાર, 07 જૂન, 2025

ભુજમાં માર્ગ નવો બને અને કલાકોમાં ખોદાય એ પરંપરા જળવાઈ

કૌશલ પાંધી દ્વારા : ભુજ, તા. 6 : શહેરમાં  કરોડોના ખર્ચે રસ્તાને નવું રૂપ અપાય અને મોટાભાગના નવા બનેલા માર્ગો એકાદ મહિનામાં  જ પાણી-ગટર સમસ્યા હલ કરવાનાં નામે ખોદી નખાતાં લોકોમાં ભારે નારાજગી ફેલાઇ છે. આ બાબતે ભુજ સુધરાઇના સત્તાધીશો કોઇ યોગ્ય ઉકેલ લાવે અને નવા માર્ગો બનાવવા પાછળ થતો ખર્ચ એળે જતો બચાવે તેવી માંગ જાગૃત નાગરિકો કરી રહ્યા છે. ભુજમાં નવો માર્ગ બને અને ખોદાય તે વર્ષોથી જાણે પરંપરા હોય તેમ ચાલી આવે છે. તાજેતરમાં જ સુધરાઇ દ્વારા લાંબા સમયથી ખાડા-ટેકરાની પીડા ભોગવતા શહેરીજનોને રાહત આપવા સિમેન્ટ તેમજ ડામરના માર્ગો નવા બનાવાયા, પણ હજુ તો લોકો રાહતનો શ્વાસ લે તે પહેલાં તો ગટર-પાણીના પ્રશ્નો ઉકેલવા નવા રોડ ખોદી નાખવાનું શરૂ થઇ ગયું છે. ત્રણેક દિવસ પહેલાં જ માંડવી ઓક્ટ્રોયથી મંગલમ આવતો માર્ગ નવો બનાવાયો. આ માર્ગ બનતાં જેટલા કલાકો લાગ્યા તેનાથી ઓછા કલાકોમાં તો રસ્તાને  પાણીની લાઇન માટે ખોદી નાખી લાખોના ખર્ચ પર પાણી ફેરવી નખાયું. માર્ગ ખોદી નખાતાં અને આડેધડ પૂરાણ કરી નખાતાં વાહનચાલકો -રાહદારીઓની સમસ્યા યથાવત્ રહેતાં ભારે રોષની લાગણી ફેલાઇ હતી. આવું જ કંઇક `' ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક બન્યું. માંડ નવો માર્ગ બન્યો હતો અને ફરી પાછો ગટર સમસ્યાના ઉકેલ માટે ખોદી નખાયો. અત્રે ઉલ્લેખનીય છે કે, એક ને એક જગ્યાએ થોડા-થોડા સમયે પ્રશ્ન ફરી પાછો ઉદ્ભવતો હોય તો સમારકામ પાછળ ખર્ચાતાં નાણાંનો વ્યય કોઇ સંજોગોમાં ન ચલાવી લેવાય. એક તો નવા માર્ગ બનાવા પાછળ રૂપિયા ખર્ચાય, ત્યારબાદ નવા માર્ગ પર ગટર-પાણી પ્રશ્ન ઉકેલવા પાછળ નાણાં ખર્ચાય અને ફરી માર્ગ મરંમતનાં નામે રૂપિયાનું આંધણ થાય. સરવાળે સુધરાઇની તિજોરીને મસમોટો ફટકો પડી રહ્યો છે. અહીં એ ન ભૂલવું જોઇએ કે, તિજોરીમાં પડેલાં નાણાં અંતે તો ભુજવાસીઓએ ભરેલા વેરા અથવા તો સરકાર દ્વારા લોકસુવિધા અર્થે ફાળવાયેલાં નાણાં જ હોય છે, જેથી આ નુકસાન ભુજવાસીઓને  થઇ રહ્યું છે, તેવું જાગૃતો કહી રહ્યા છે. વારંવાર બનતા અને ખોદાતા માર્ગો અંગે ભુજ સુધરાઇના અધિકારી-પદાધિકારી ચોક્કસ નીતિ ઘડે અને એક ને એક જગ્યાએ  ક્ષતિ સર્જાય તો તે હલ કરનારા કર્મચારી, કોન્ટ્રાક્ટરની જવાબદારી નક્કી કરાય, જરૂર પડે તો કાયદેસરની કાર્યવાહી પણ કરાય તો જ નાણાંનો થતો વ્યય અટકે અને લોકોને નવી સુવિધા લાંબો સમય સુધી મળી શકે તેવી લાગણી શહેરીજનોમાં ફેલાઇ છે. અત્રે નોંધનીય છે કે, ગાંધીધામમાં માર્ગ તોડી ગટરલાઈન નાખનારને દંડ ફટકારાયો, આવાં પગલાં ભુજ સુધરાઈ ક્યારે લેશે ? તેવો જાગૃતોનો સવાલ. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd