• શુક્રવાર, 27 જૂન, 2025

માધાપરમાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે નેશનલ ગોલબોલ ટ્રેનિંગ કેમ્પનો થયો આરંભ

માધાપર, તા. 26 : નવચેતન અંધજન મંડળ સંચાલિત નવચેતન દિવ્યાંગ સ્પોર્ટસ એન્ડ ક્રિકેટ એકેડેમી, સૂર્યા વરસાણી એકેડેમી તથા કચ્છમિત્ર દૈનિકના સંયુક્ત યજમાનપદે, વાક્રોફ્ટ ફાઉન્ડેશન યુ.કે., રામજી કાનજી હીરાણી ચેરિટેબલ ટ્રસ્ટ તથા અન્ય દાતાઓના આર્થિક સહયોગથી આયોજિત રાષ્ટ્રીય ગોલબોલ ટ્રેનિંગ કેમ્પ અને આંતરરાષ્ટ્રીય ટીમ સિલેક્શન કેમ્પનો આરંભ થયો હતો. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય શ્રેષ્ઠ પ્રજ્ઞાચક્ષુ રમતગમત પ્રતિભાઓને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક પૂરી પાડવાનો છે. આઠ દિવસીય આ કેમ્પમાં દેશભરના નવ રાજ્યમાંથી 32 પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ સહિત કુલ 40 ખેલાડી ભાગ લઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગોલબોલ રમત ઓલિમ્પિક સ્તરે પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે ખાસ યોજાય છે. ઉદ્ઘાટન સમારોહમાં હિમાંશુ સોમપુરા (મંત્રી-નવચેતન અંધજન મંડળ), કેતનભાઈ પિન્હૈરો(પ્રતિનિધિ-આઇબીએસએ), સ્વરાજકુમાર સિંહ અને કમલકાંત (કેમ્પ મેનેજરો, જીએફઆઇ), ટ્રસ્ટીઓ ઝરણાબેન વ્યાસ, દામજીભાઇ ઓઝા, ખીમજીભાઇ વેકરિયા, હરજીભાઇ હીરાણી, દેવરામભાઇ ઢીલા તથા ચીફ કોર્ડિનેટર દીપકપ્રસાદે દીપ પ્રાગટય કરી કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો. પિન્હૈરોએ આંતરરાષ્ટ્રીય આયોજન અંગે માહિતી આપી હતી. જીએફઆઇના પ્રતિનિધિઓ સ્વરાજકુમાર સિંહ તથા કમલકાંતે સંસ્થાની સુવિધાઓ તથા સૂર્યા વરસાણી એકેડમીના આંતરરાષ્ટ્રીય સ્તરના મેદાનની પ્રશંસા કરી હતી. હિમાંશુભાઇએ કચ્છના ખેલાડીઓ જિલ્લાનું અને રાષ્ટ્રનું નામ રોશન કરે તેવી કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. સંચાલન રીમાબેન ભાટિયાએ કર્યું હતું. આ આયોજનની સફળતા પાછળ સૂર્યા વરસાણી એકેડમીના વિશ્રામ વરસાણી, ધનજીભાઇ તથા અન્ય ટ્રસ્ટીઓ, કચ્છમિત્ર દૈનિકના તંત્રી દીપકભાઇ માંકડ, મેનેજર મુકેશભાઇ ધોળકિયા તથા નવચેતન અંધજન મંડળના પ્રમુખ વિનોદભાઇ ગડા, જનરલ સેક્રેટરી લાલજીભાઇ પ્રજાપતિ, ખજાનચી ઝીણાભાઇ ડબાસિયાનો ફાળો છે. આ કેમ્પની પૂર્ણાહુતિ તા. 28/6ના થશે. પસંદગી પામેલા ખેલાડીઓ ઇજિપ્ત ખાતે યોજાનારી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં જાપાન ખાતે એશિયન ગેમ્સ તથા આગામી પેરા ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd