રામજી મેરિયા દ્વારા : ચોબારી, તા. 26 : પૂર્વ કચ્છના સરહદી એવા ખડીર
વિસ્તારમાં અનેક માળખાંગત સુવિધાઓના અભાવ વચ્ચે શિક્ષકોની ઘટને લઇને ખડીરનાં બાળકોના
શિક્ષણ પર માઠી અસર પડી રહી હોવાનું અમરાપર ગામના લોકોએ જણાવ્યું હતું. વડાપ્રધાન સરહદી
ગામોને ગામના પ્રથમ ગામનો દરજ્જો આપે છે ને રાજ્યના મુખ્યમંત્રી પણ સરહદી કુરન ગામમાં
પ્રવેશ ઉત્સવમાં હાજરી આપશ ત્યારે છેવાડાના સરહદી એવા ખડીર વિસ્તારના અમરાપર ગામે છેલ્લા
કેટલાક વર્ષથી શિક્ષકોની ઘટ હોવાથી છેલ્લા પાંચ વર્ષમાં અનેક બાળકોએ શાળા છોડવી પડી
છે. દર વર્ષે પંદર-સત્તર બાળકો નાછૂટકે શાળા છોડીને અન્યત્ર હિજરત કરે છે. છેલ્લા પાંચ
વર્ષમાં પચાસથી સાઇઠ બાળકો શાળા છોડી ગયા છે ત્યારે હાલ શાળામાં અભ્યાસ કરતા બાળકો
પ્રવેશ ઉત્સવના દિવસે પૂઠાંના બોર્ડ પર સૂત્રો લખીને સરકારને માગણી કરી રહેલા જોવા
મળ્યા હતા, જેમાં બાળકોની માગણી આગેવાનો
અને તંત્રને શરમમાં મૂકી દેનારી છે. બાળકો કહે છે, `અમારે ભણવું છે, મજૂરી નથી કરવી', `અમારી શાળાને શિક્ષક આપો', `અમે પણ ભારતના
નાગરિક છીએ.' આમ તો આખાય ખડીરમાં શિક્ષકોની
ઘટ છે. ખડીર વિસ્તારમાં 17 શાળા છે, જેનું મહેકમ 74નું છે,
જ્યારે હાલ માત્ર આખાય ખડીરમાં અડધાથી ઓછા 31 જેટલા શિક્ષક હોવાનું જાગૃત
નાગરિકોએ જણાવ્યું હતું. બાલ વાટિકામાં બાળકોની સંખ્યા વધી રહી છે, જે શાળા પ્રવેશ ઉત્સવનું પરિણામ છે,
પરંતુ શિક્ષકોની ઘટથી બાળકો અન્યત્ર જઇ રહ્યા છે તે પણ હકીકત છે. અમરાપરમાં
118 બાળકની સામે માત્ર એક જ શિક્ષક
હોવાથી શિક્ષણકાર્ય થઇ શકતું નથી. દૂરનું ગામ હોવાથી શિક્ષકે સરકારી કામે પણ જવું પડે.
મિટિંગ, માહિતી અને સરકારી કામકાજ પણ હોય તેથી ગામલોકો
આવી પરિસ્થિતિથી તંગ આવીને નાછૂટકે આજે પ્રવેશ ઉત્સવના દિવસે બાળકોને શાળામાં પ્રવેશબંધીનો
માર્ગ અપનાવ્યો હતો. ગામના સરપંચ માદેવભાઇ આહીર, કે.ડી.સી.સી.
બેન્કના ડાયરેક્ટર નારણભાઇ આહીર તેમજ જિલ્લા પંચાયતના સભ્ય રૂપેશભાઇ આહીરનો સંપર્ક
કરતાં આ વાત સાચી હોવાનું જણાવ્યું હતું. ગામના આગેવાનોએ જણાવ્યું હતું કે,
તંત્રમાં અમે પણ અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ
આ અમારાથી ઉપર લેવલનું છે, જેથી મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં
આવશે તેવું જણાવ્યું હતું. અમરાપર ગ્રામજનોએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી શિક્ષકોની ઘટ પૂરવામાં નહીં આવે ત્યાં સુધી બાળકો દ્વારા શાળાનો
બહિષ્કાર કરવામાં આવશે. દરમ્યાન જનાણ ગામમાં ચાલતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં
70 જેટલા વિદ્યાર્થી ધોરણ 9, 10, 11 અને 12માં અભ્યાસ કરે છે, પરંતુ શિક્ષક માત્ર એક જ હોવાથી માધ્યમિક અને
ઉચ્ચ માધ્યમિક શાળાનાં બાળકો પર પણ ભાર અસર પડી રહી છે. મોટા ધોરણના બાળકોને વિજ્ઞાન,
ગણિત, અંગ્રેજી, ઇતિહાસ,
ભાષા વગેરે વિષયો કેવી રીતે ભણાવી શકાય તે એક ગંભીર પ્રશ્ન છે. આથી સરહદી
ખડીર વિસ્તારના શિક્ષણ માટે મુખ્યમંત્રી ખાસ કચ્છની મુલાકાતે છે ત્યારે સત્વરે સમગ્ર
કચ્છમાં જે શિક્ષકોની ઘટ છે તેને પૂર્તતા કરે તેવી માંગ ઊઠી હતી.