ભુજ, તા. 26 : કચ્છીયત ફાઉન્ડેશન દ્વારા સંગીતમય
ટોક-શો જીના ઇસી કા નામ હૈનું નવતર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય
વક્તા તરીકે ઉપસ્થિત રહેલા જાણીતા અને વ્યવસાયે તબીબ એવા ડો. નિમિત્ત ઓઝાએ માનસિક સ્વાસ્થ્યને
મજબૂત બનાવવા જીવનમાં પાંચ `પ'ને અપનાવવા સૌને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડયું હતું. કચ્છમિત્રના મીડિયા પાર્ટનર સહયોગથી આ પ્રકારના
કાર્યક્રમનું આયોજન પ્રથમવાર કરાયું હતું. કચ્છીયત ફાઉન્ડેશન દ્વારા મુક્તજીવન સ્વામીબાપા
મહિલા કોલેજના ઓડિટોરિયમમાં આયોજિત કાર્યક્રમનો સાંસદ વિનોદ ચાવડા, મુખ્ય વક્તા ડો. નિમિત્ત ઓઝા, કચ્છ યુનિ.ના કુલપતિ ડો.
મોહન પટેલ, કચ્છમિત્રના તંત્રી દીપક માંકડ, ઉદ્યોગપતિ દીપેશ શ્રોફ તેમજ જાણીતા સંગીતકાર કીર્તિ વરસાણીએ પ્રારંભ કરાવ્યો
હતો. `જીના ઇસી કા નામ હૈ' ટોક -શોમાં પ્રખ્યાત સંગીતકાર કીર્તિ વરસાણી
દ્વારા સુરાવલીના મહાસાગરમાં સુજ્ઞ શ્રોતાજનોએ જૂના ગીતો નવી ઢબમાં સાંભળવાનો લહાવો
લીધો હતો. સંયોજક ડો. હિના ગંગરે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. ભૂમિકા જોશી,
શ્રેયસ પઢારિયા, અનિરુદ્ધ આહીર, રાજ ગઢવી, દીપેન હંસોરા તથા સુમન પટેલે પોતાના મધુર કંઠથી
તથા સાજીંદાઓએ પોતાની કરામતથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. અર્ચના ચૌહાણે દરેક ગીત સાથે
જોડાયેલી રસપ્રદ વાતો રજૂ કરી હતી. `જીના ઇસીકા નામ હૈ' આ મ્યુઝિકલ ટોક-શોના નવતર પ્રયોગમાં ગીત- સંગીત સાથે જિંદગીની બંદગી કરવાનો અવસર વણી લેવાયો હતો. ડો.
નિનાદ ગોરે ભુજમાં પ્રથમવાર આવેલા ડો. નિમિત્ત ઓઝાનું અભિવાદન કર્યું હતું. મુખ્ય વકતા
ડો. ઓઝાએ પોતાની વાકશૈલીથી જનતાને મંત્રમુગ્ધ કરી હતી. ડો. ઓઝાએ મેન્ટલ હેલ્થને સાચવવા પરિવાર, પરિશ્રમ, પુસ્તક, પ્રાર્થના તથા
પ્રવાસને જીવનમાં વણી લેવાનું સૂચન કર્યું હતું. ડો. ઓઝાએ પેરેન્ટિંગથી લઇને રિલેશનશિપ,
સેલ્ફ લવથી લઇને સેલ્ફ હેલ્પ સુધી દરેક વાતને કપિલ ગોસ્વામી સાથેના સંવાદમાં
વણી લીધેલી. કચ્છીયત ફાઉન્ડેશન આવા નવતર આયોજન સમયાંતરે કલારસિકજનો માટે કરતું રહેશે
એવું ફાઉન્ડર કીર્તિ વરસાણીએ જણાવ્યું હતું.
ડો. હિના ગંગર, વિધિ ગોર, ઝરણા પંડયા,
રીમા સાકરિયા, વૈશાલી જેઠી, સંધ્યા વરસાણી, ડો. નિનાદ ગોર તથા ડો. રુચિ ગોરે જહેમત
ઉઠાવી હતી. આભારવિધિ સંધ્યા વરસાણીએ કરી હતી.