ભુજ, તા. 26 : લગભગ 13 વર્ષ બાદ ભુજના હમીરસર કિનારે
ફરી કાર્નિવલ યોજાવાનો હોવાથી ભુજવાસીઓની સાથોસાથ સમગ્ર કચ્છના લોકો આ ઉત્સવ માણવા
આતુર છે. કચ્છી નવા વર્ષ આષાઢી બીજ તા. 27/6ના શુક્રવારે સાંજે પાંચ વાગ્યે હોટેલ લેકવ્યૂ પાસે મુખ્ય મહેમાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે કાર્નિવલનો પ્રારંભ કરાશે. સાંસદ કચ્છ કાર્નિવલની
સાંસદ વિનોદભાઇ ચાવડા પ્રેરિત સંસ્થાન સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ દ્વારા ઉજવણી કરાશે.
ઝારા ડુંગર ઉપર કચ્છી નવાં વર્ષની ઉજવણી તત્કાલીન મુખ્યમંત્રી વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ
મોદીએ કાર્નિવલ સ્વરૂપે શરૂ કરી હતી. 2008થી 2013 છ વર્ષ નિયમિત
યોજાતો કાર્નિવલ હવે ફરી યોજાવા જઇ રહ્યો છે.
સાંસદ વિનોદભાઇએ જણાવ્યું હતું કે, કચ્છી નવા વર્ષ આષાઢી બીજની સંધ્યા અને
ભુજના ઐતિહાસિક તળાવ હમીરસર કાંઠે સાંસદ કચ્છ કાર્નિવલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ
પટેલ ઉપસ્થિત રહી કચ્છવાસીઓ, કચ્છના કલાકારોને નવાં વર્ષની શુભકામના
પાઠવશે. હમીરસર કિનારે ખેંગારબાગથી ઉમેદનગર સુધીના માર્ગે કચ્છની ભાતીગળ સંસ્કૃતિ,
નૃત્ય, પરંપરા, સંત-શૂરા,
ઓપરેશન સિંદૂર, સ્વચ્છતા, પ્લાસ્ટિકમુક્ત ભારત જેવા વિષયોને
આવરી લેતા નૃત્ય રજૂ કરતા 64 ફ્લોટ સાથે 2500થી વધુ કલાકારો કલા પ્રસ્તુત કરશે. - કાર્નિવલના રૂટને મંડપ, રોશની શણગાર, સર્કલો સુશોભિત
કરાયા છે. : સાંસદ કચ્છ કાર્નિવલ-2025ના પ્રારંભ કાર્યક્રમમાં અતિથિવિશેષ
પદે પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરિયા, કચ્છ જિલ્લા પ્રમુખ દેવજીભાઇ વરચંદ, જિલ્લા પંચાયત પ્રમુખ
જનકસિંહ જાડેજા, ધારાસભ્યો
કેશુભાઇ પટેલ, ત્રિકમભાઇ છાંગા, વીરેન્દ્રસિંહ
જાડેજા, અનિરુદ્ધ દવે, માલતીબેન મહેશ્વરી,
પ્રદ્યુમનસિંહ જાડેજા, મોરબી ધારાસભ્ય કાંતિભાઇ
અમૃતિયા, ભુજ નગરઅધ્યક્ષા રશ્મિબેન સોલંકી ઉપસ્થિત રહેશે. કાર્નિવલ
કો-ઓર્ડિનેટર તરીકે પંકજભાઇ ઝાલાએ જહેમત ઉઠાવી હતી.