નવી દિલ્હી, તા. 26 : હવામાન વિભાગના
ઓરેન્જ એલર્ટ વચ્ચે હિમાચલ પ્રદેશમાં આકાશમાંથી કહેર વરસી રહ્યો છે. હિમાચલમાં અલગ
અલગ પાંચ જગ્યાએ વાદળ ફાટવાની ઘટનામાં નવ લોકો લાપતા થયા છે અને મનૂણીમાંથી એક મૃતદેહ
મળી આવ્યો હતો. ગુરૂવારે હવામાન સાફ થતા જ રાહત મળી હતી અને લાપતા લોકોની તલાશ માટે
અભિયાન વધારે તેજ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન
વાદળ ફાટવાના કારણે પિન પાર્વતી નદીનું જળસ્તર ધીરે ધીરે ઘટયું હતું. તેવામાં બિહાલી
ગામમાં લાપતા ત્રણ લોકોને શોધવા બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ધર્મશાળા અને કુલ્લુમાં
પાંચ જગ્યાએ વાદળ ફાટવાના કારણે ભારે તબાહી વચ્ચે ચાર લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે
નવ લોકો લાપતા બન્યા હતા. જેમાં કુલ્લુમાં ત્રણ અને ધર્મશાળમાં પાંચથી છ લોકો લાપતા
છે. મનુણીમાં ખાડામાં વહેલા શ્રમિકોને શોધવા
માટે બીજા દિવસે પણ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તરફથી અભિયાન કરવામાં આવ્યું હતું.
જેમાં એક શ્રમિકને સુરક્ષિત બહાર લાવવામાં આવ્યો હતો. જ્યારે એકનો મૃતદેહ મળી આવ્યો
હતો. આમ છેલ્લા બે દિવસમાં ત્રણ શ્રમિકના મૃતદેહ મળી આવ્યા છે. અંદાજીત આઠ શ્રમિક પાણીમાં
ડુબ્યા હોવાની સૂચના મળી હતી. બીજી તરફ બકરથાચથી પ્રશાસને 50 પર્યટકને સુરક્ષિત બચાવ્યા
હતા. આ તમામ ભારે વરસાદ બાદ બકરથાચમાં ફસાયા હતા. વાદળ ફાટવાના કારણે 8 ગાડી,
10 નાના પુલ અને એક વિજળી પ્રોજેક્ટ
વહી ગયા હતા. સૈંજ ઘાટીના શૈશરઘ શાંઘડ અને સુચૈહન પંચાયત ક્ષેત્રમાં 150થી વધારે પર્યટક વાહનો ફસાયા
હતા. હજી પણ હવામાન ખાતાએ 27, 28 જુન
અને 1 તેમજ બે જુલાઈના રોજ હિમાચલના અલગ અલગ સ્થળો
માટે ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું છે.