ભુજ / ગાંધીધામ, તા. 26 : મુંદરાના
અકસ્માત ઝોન તરીકે જાણીતા થયેલા રંગોલી ગેટ પાસે ગઇકાલે રાતે મૂળ મથુરા (ઉત્તરપ્રદેશ)
હાલે બારોઇ રહેતા 36 વર્ષીય યુવાન
મહેન્દ્રપાલ ચંદ્રપાલની બાઇકને અજાણ્યા ભારે વાહને કચડી નાખતાં તેના બે ટુકડા થઇ જતાં
કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બીજીતરફ ભચાઉના રાજબાઇ મંદિર સામે ધોરીમાર્ગ ઉપર
આગળ જતાં મોપેડને પાછળથી ટેન્કરે હડફેટમાં લેતાં ભચાઉના સુધાબેન કિરીટ લુહાર (ઉ.વ.
40) નામના મહિલાનું મોત થયું હતું.
મુંદરાની અરેરાટી ભરેલી દુર્ઘટના અંગે અંતરંગ વર્તુળો તથા મુંદરા પોલીસ પાસેથી મળેલી
વિગતો મુજબ મૂળ મથુરા હાલે બારોઇ રહેતો યુવાન મહેન્દ્રપાલ ગઇકાલે રાતે 11.45 વાગ્યાના અરસામાં ભારે વાહનોથી
ધમધમતા અને અનેક ગોઝારા અકસ્માતનો સાક્ષી બની અકસ્માત ઝોન તરીકે જાણીતા બનેલા રંગોલી
ગેટ પાસે આશાપુરા કોમ્પ્લેક્સની સામે કોઇ અજાણ્યા વાહને બાઇકસવાર મહેન્દ્રપાલને કચડી
તેના પર ટાયર ફરી વળતાં બે ટુકડા થઇ જતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું તેનું મોત થતાં
અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ મુંદરા પોલીસે ગુનો દાખલ કરી છાનબની આદરી છે. બીજીતરફ ભચાઉના
સિતારામપુરા વિસ્તારમાં રહેનાર સુધાબેન પોતાના દીકરા રાજવીરને લઇને વરસાણા ખાતે તા.
24/6નાં માતાજીના મંદિરે ગયા હતા
ત્યાંથી પરત આવતી વેળાએ જશોદાધામ નાની ચીરઇ ખાતે બનાવના ફરિયાદી એવા પોતાના દિયર પરેશ
વણીવીર લુહારના ઘરે ગયા હતા જ્યાં રાત્રે જમ્યા બાદ ફરિયાદી મોપેડ નંબર જી.જે.-12-ઇ.કે.-2675 લઇને તેમને ઘરે મૂકવા જઇ રહ્યા
હતા. આ મોપેડ ભચાઉના રાજબાઇ મંદિર પાસે પહોંચ્યું હતું ત્યારે પાછળથી ધસમસતા આવતા ટેન્કર
નંબર જી.જે.- 12- બી.ટી.- 0391એ મોપેડને હડફેટે લીધું હતું
જેમાં મહિલા નીચે પટકાઇ ગયા હતા અને તોતિંગ ટેન્કરનું પૈડું તેમના પરથી ફરી વળતાં તેમને
ગંભીર ઇજાઓ પહોંચી હતી. મહિલાને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર
કર્યા હતા. પોલીસે બનાવ અંગે ગુનો દર્જ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.