મનજી બોખાણી દ્વારા : ગાંધીધામ, તા. 25 : મહાત્મા ગાંધીએ ગુજરાતને નશામુક્ત
કરવા પ્રયત્નો કર્યા અને અત્યારે આ રાજ્ય નશામુક્ત ગણાય પણ છે, પરંતુ હકીકત કંઇક જુદી જ છે. રાજ્યના છેવાડાના
તથા પાડોશી મૂલકને અડીના આવેલાં કચ્છમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી માદક પદાર્થો ઝડપાય
છે અને અહીં તેનું ધૂમ વેચાણ પર થાય છે. કચ્છ ડ્રગ્સનું હબ બની રહ્યું હોય તેવું જણાય
છે. અહીં ચરસ, ગાંજો, ભાંગ, એલ.એસ. ડી., કોકેઇન, અફીણ,
હેરોઇન વગેરે માદક પદાર્થો મળી રહે છે. એન.ડી.પી.એસ. એક્ટ-1985 અમલમાં છે, પણ તેમાં જોઇએ તેવી સફળતા મળતી નથી. - આ વર્ષ દરમ્યાન પૂર્વ કચ્છ
એસ.ઓ.જી.એ 17 ગુના
દર્જ કર્યા : પૂર્વ કચ્છમાં
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આ છ મહિના દરમ્યાન માદક પદાર્થો ઝડપી પાડવાના 17 ગુના દાખલ કરીને લાખોનો માદક
પદાર્થ જપ્ત કર્યો હતો અને મહિલા સહિતના આરોપીઓને પણ પકડી પાડયા હતા. સિનુગ્રા અને
વાગડ પંથકમાં ગાંજાની ખેતી ઝડપાઇ હતી. એસ.ઓ.જી. સિવાય રાપર પોલીસે નવ લાખના 300 કિલો પોષડેડાનો જથ્થો ઝડપી
પાડયો હતો. - માદક પદાર્થોમાં કોકેઇન સૌથી
મોંઘું : કોકા વનસ્પતિના પાનમાંથી કોકેઇન મળે છે.
આ ઉત્તેજક પદાર્થ છે આ પદાર્થ મોં વાટે ખાવાથી, નાક વાટે સૂંઘવાથી, નસમાં ઇન્જેક્શનથી કે ધુમ્રપાન સ્વરૂપે
ફૂંકવાથી શરીરમાં જાય ત્યારે માણસના મન અને
વર્તન ઉપર ગાઢ અસર કરે છે. કોકેઇનના એક ગ્રામના રૂા. એક લાખ ગણાય છે અને એક કિલોના
રૂા. 10 કરોડનો આંક લગાડાય છે. બે વર્ષ
પહેલાં ખારીરોહર નજીક રૂા. 829 કરોડનું 80 કિલો કોકેઇન ઝડપાયું હતું.
આ નશાના બંધાણીઓને નશો કર્યા બાદ હૃદયના ધબકારા અનિયમિત થવા, ખેંચ આવવી, લિવર,
ફેંફસાને કાયમી નુકસાન, ગાંડા થઇ જવું અને મૃત્યુ
વગેરે શારીરિક હાનિ પહોંચે છે. - એલ.એસ.ડી. ખૂબ ઘાતક છે : લાઇસર્જિક એસિડ ડાયઇથાઇલેમાઇડ (એલ.એસ.ડી.) નશીલો પદાર્થ 20 માઇક્રોગ્રામ પણ માનસિક, શારીરિક અસરો કરવા સક્ષમ છે. આ પદાર્થનો નશો
કરવાથી હૃદયના ધબકારા વધવા, રક્તચાપ વધવો, કીકી પહોળી થવી, ધ્રુજારી આવવી, માનસિક સંતુલન ખોવું, ધ્રાસ્કો પડવો, નશો કરનાર ગાંડો થઇ જાય વગેરે અસરો પહોંચે છે. આ પણ મોંઘા પ્રકારનો નશો ગણવામાં
આવે છે. - હેરોઇન-બ્રાઉન
શુગર : હેરોઇન સફેદ પાઉડર સ્વરૂપે મળે છે, જેની એક ગ્રામની રૂા. 50,000 કિંમત આંકવામાં આવે છે. આ પાઉડરમાં
અન્ય પદાર્થ ચૂનો, રાખ કે કોઇ
પણ નકામી વસ્તુ ભેળવીને મળતો સસ્તો પાઉડર બ્રાઉન શુગર તરીકે ઓળખાય છે. હેરોઇન ઇન્જેક્શન
વાટે તો બ્રાઉન શુગર ધુમાડા સ્વરૂપે નસેડીઓ લેતા હોય છે. આના નશાથી બંધાણીને માનસિક,
શારીરિક તકલીફો પેદા થાય છે. - અફીણ-ચરસ-ગાંજાનો ઉપયોગ વધુ : કેનાબીસ ઇન્ડિકા નામના છોડમાંથી ચરસ, ગાંજો, ભાંગ જેવા નશીલા
પદાર્થો મળે છે. આ છોડની ડાળી અને પાનમાંથી રેઝિન્સ બનાવવામાં આવે છે, ત્યારે તેમાંથી ચરસ અથવા હશિશ બને છે. મરીજુઆના તરીકે ઓળખાતા ગાંજાનું સેવન
વધુ કરાય છે. અફીણનું ચલણ પણ વધારે છે. પૂર્વ કચ્છનું ગાંધીધામ સંકુલ મિની ભારત ગણાય
છે, અહીં તમામ સમાજ રહે છે અનેક સમાજોમાં બાળકોને અફીણ આપવામાં
આવે છે. મરણ પ્રસંગે કે લગ્ન પ્રસંગોમાં મહેમાનોને ગાંજો, અફીણ
પિરસાય છે. અમુકમાં તો આ વ્યવસ્થા ન કરાય, તો મહેમાનો ખોટું માની
જતા હોય છે. અફીણ એક ગ્રામના રૂા. 1000 તથા ગાંજાના એક કિલોના રૂા. 10,000 આંકવામાં આવે છે. સરળતાથી અને સસ્તો મળનારો આ નશો પૂર્વ કચ્છમાં
ખૂબ ચલણમાં છે. આવા નશાથી શારીરિક, માનસિક બીમારીઓ થવાથી લઈને બંધાણીનાં મોત સુધી નુકસાન પહોંચાડે છે. - તમામ નશાથી જુદી-જુદી બીમારીઓ ઘર કરી
જાય છે : આવા તમામ પ્રકારના નશાથી યકૃત, હૃદય, હોજરી, ચામડી, ફેફસાં, પેશાબના રોગ,
કેન્સર, શરીરને કાયમી નુકસાન, મગજને નુકસાન, ખેંચ આવવી, યાદશક્તિ
ઓછી થવી, વિચિત્ર વસ્તુઓ દેખાય, વિચિત્ર
અવાજ સંભળાય, બીજા પ્રત્યે શંકાશીલ બને, ભૂતકાળના પ્રસંગો યાદ આવે, હતાશા, ચિંતા અનુભવાય, ક્યારેક વધારે પડતા નશાથી મોત પણ થાય. - ધોરીમાર્ગો પરની હોટલોમાં વેચાતા
નશાના ગ્રાહકો : પૂર્વ-પશ્ચિમ
કચ્છના ધોરીમાર્ગ પાસે આવેલી અમુક હોટલોમાં ગાંજો,
અફીણ, હેરોઈન વગેરે પદાર્થો વેચાય છે. કંડલા,
મુંદરા બંદર તથા ખાનગી કંપનીઓમાંથી
માલ ભરીને અન્ય રાજ્યોમાં હજારો કિ.મી.નો પંથ કાપનારા ટ્રક, ટેન્કર,
ટ્રેઈલરના ચાલકોને કલાકો સુધી વાહન ચલાવીને ગંતવ્ય સ્થાન ઉપર આ માલ સમયસર
પહોંચાડવાનો હોય છે, ત્યારે આવા પ્રકારના નશાના કારણે થાક ન લાગવો,
મગજ સતેજ રહેતું હોવાથી અનેક ચાલકો આ નશો કરતા હોય છે. - પંજાબ-રાજસ્થાન-ઓરિસ્સા-બિહાર
વગેરે રાજ્યોથી લવાય છે નશીલા પદાર્થ : ગાંજો,
અફીણ, ચરસ, હેરોઈન વગેરે
નશાકારક પદાર્થો આવા પ્રકારના રાજ્યોમાંથી અહીં ઘુસાડાય છે. અન્ય રાજ્યોમાં જતા ટ્રક,
ટેન્કરચાલકો મોટા ભાગે હાઈ-વે હોટલોના સંચાલકોના પરિચયમાં હોય છે. આવા
ચાલકો અન્ય રાજ્યોમાં જાય ત્યારે માલ મગાવી લેવાય છે. ક્યારેક ટ્રેન મારફતે પણ નશીલા
પદાર્થ પહોંચાડાય છે, તો ક્યારેક કારના બોનેટમાં છુપાવીને પણ
લઈ અવાય છે. - તરુણો-કિશોરોમાં
ઘર કરતો નશો : મેગા સિટી
સમાન ગાંધીધામ સંકુલમાં તરુણ અને કિશોરવયના બાળકોમાં જુદા-જુદા પ્રકારના નશા પ્રસરી
રહ્યા છે. થોડા સમય અગાઉ ગાંધીધામમાં આવેલી એક ઈમારતમાં શાળાના યુનિફોર્મમાં નશો કરતા ટાબરિયાઓને એક એજન્સીએ પકડી પાડી સ્થાનિક
પોલીસને જાણ કરાઈ હતી, પરંતુ આગળ
કાંઈ થયું નહોતું. સંકુલમાં ચાલતા અમુક હુક્કબારમાં પણ ટાબરિયા નશો કરતા જણાયા છે.
અગાઉ 12 સાયન્સના એક વિદ્યાર્થીને આવા
નશાના કારણે જીવ ખોવાનો પણ વારો આવ્યો હોવાનું જાણકાર સૂત્રોએ કહ્યું હતું. અમુક મહિલાઓમાં
પણ અમુક પ્રકારના નશાનું પ્રમાણ વધ્યું છે.બાળકોના સ્વભાવમાં ફેરફાર આવે કે ચિડિયાપણુ, ગુસ્સો, મૂડમાં અચાનક
ફેરફાર, ગભરામણ થવી, યાદશક્તિ ઓછી થવી,
ઊંઘ ન આવવી, માથામાં દુ:ખાવો જેવા ફેરફાર આવે તો
સતર્ક રહેવું. બાળકોની સંગત પર ધ્યાન રાખવું, પોતાના બાળકો સાથે
કોઈ પણ પ્રકારનો નશો ન કરવો, તેમની પાસેથી કોઈ પણ નશીલા પદાર્થ
ન મગાવવા, બાળકો સાથે નશાની આડઅસરો અંગે ચર્ચા કરવી, તેમને સતર્ક, સચેત રાખવા જોઈએ. - એન.ડી.પી.એસ. એક્ટ કાર્યરત, પણ જોઈએ તેવી સફળતા નહીં : નાર્કોટિક્સ
ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સટેન્સિસ એક્ટ-1985 કાર્યરત છે, જે અંતર્ગત પોલીસ કાર્યવાહી પણ કરે છે, પરંતુ જોઈએ તેવી
સફળતા મળતી નથી અને હજુ પણ અનેક જગ્યાએ નશીલા પદાર્થો વેચાતા હોવાનું મનાય છે.