નવી દિલ્હી, તા.26 : ભારતનાં પ્રમુખ
ન્યાયમૂર્તિ (સીજેઆઈ) બી.આર. ગવઈએ કહ્યું છે કે,
ભારતનું બંધારણ સૌથી ઉપર છે અને લોકતંત્રનાં ત્રણેય અંગ- ન્યાયપાલિકા,
કાર્યપાલિકા અને વિધાયિકા તેનાં અંતર્ગત જ કામ કરે છે. આટલું જ નહીં
તેમણે ઉમેર્યુ હતું કે, સંસદ સૌથી ઉપર છે પણ મારા અભિપ્રાય મુજબ
તે બંધારણથી ઉપર નથી. સીજેઆઈ ગવઈએ પોતાના ગૃહનગર અમરાવતીમાં એક અભિનંદન સમારોહને સંબોધતા
બંધારણનાં મૂળ માળખાનાં સિદ્ધાંત આધારિત સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાનો
ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, સંસદ પાસે બંધારણમાં સુધારાની
શક્તિ તો છે પણ તે બંધારણની મૂળ ભાવનાને બદલી શકતી નથી. કેટલાક લોકો કહે છે કે,
સંસદ સર્વોચ્ચ છે પણ મારા મત અનુસાર સંવિધાન સર્વોપરિ છે. તેમણે આગળ
ઉમેર્યુ હતું કે, સરકાર વિરુદ્ધ આદેશ જારી કરી દેવાથી કોઈ જજ
સ્વતંત્ર બની જતા નથી. ન્યાયાધીશે હંમેશા યાદ રાખવું જોઈએ કે આપણું કર્તવ્ય નાગરિકોનાં
અધિકાર, બંધારણીય મૂલ્યો અને સિદ્ધાંતોનાં સંરક્ષકનું છે. ન્યાયપાલિકાને
માત્ર અધિકાર નથી અપાયો પણ કર્તવ્ય પણ તેનાં ઉપર નાખવામાં આવેલું છે.