ગિરીશ જોશી દ્વારા : ભુજ, તા. 26 : ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાનના
આતંકવાદી ઠેકાણા ઉપર કરેલા હુમલાને પગલે સમગ્ર દેશમાં રાષ્ટ્રભક્તિનો માહોલ ઊભો થતાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુજ આવીને જે સ્થળે સભા તાજેતરમાં યોજી ત્યાં જ કચ્છના વન
વિભાગ દ્વારા સિંદૂરવન બનાવવાનો નિર્ણય લેવાતાં 28મીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે ભૂમિપૂજન
થવાનું છે તો આ માત્ર વન નહીં શૌર્યનું પ્રતીક બનશે તેવી વાત મુખ્ય વનસંરક્ષક સંદીપકુમારે
કરી હતી. સિંદૂરવનનાં નામે ઓળખ મળવાની છે એ સાંસ્કૃતિક વન કેવું હશે આ બાબતે `કચ્છમિત્ર' સાથે વાત કરતાં વનસંરક્ષક સંદીપકુમારે જણાવ્યું
હતું કે, આઠ હેક્ટરના વિસ્તારમાં કચ્છ અને ભુજના નાગરિકો માટે
એક પ્રવાસન સ્થળ બની જશે. 28મીએ મુખ્યમંત્રી શ્રી પટેલ ભૂમિપૂજન કરશે, ત્યારપછી આ આઠ હેક્ટર વિસ્તારમાં 80 હજાર રોપાનું વાવેતર કરવામાં
આવશે. આ વન વિકસાવવાની જવાબદારી પશ્ચિમ વિભાગના નાયબ વન અધીક્ષક હર્ષ ઠક્કર અને તેમની
ટીમને સોંપવામાં આવી છે. શ્રી ઠક્કરે પણ પ્રથમ તબક્કામાં વન વિકસાવવામાં આવશે એમ જણાવ્યું
હતું. સંદીપકુમારના કહેવા પ્રમાણે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી વનસ્પતિનું વાવેતર કરવામાં
આવશે. વડ, પીપળો, ઉમરો, કરંજ, અર્જુન, પીલુ, અશ્વગંધા, જાંબુ, આંબલી,
લીમડો, લિયાર, દાડમ,
તુલસી, અળસી, સરગવા,
સિંદૂર, વાંસ જેવા 40 પ્રકારનાં વૃક્ષનું આ જંગલ
બને તેવો પ્રયાસ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે,
રુદ્રમાતા પાસેના રક્ષક વન કરતાં પણ ચડિયાતું વન વિકસી જશે કેમ કે અહીં
વનની સાથે લોકોની ભાવનાત્મક લાગણીઓ જોડાયેલી હશે. શહેરની વચ્ચોવચ્ચ અને જાહેર માર્ગ
ઉપર એક પ્રવાસન સ્થળ વિકસાવવાનું આયોજન છે અને અમે એ મુજબ તૈયારીઓ શરૂ કરી છે. વધુ
વિગતો આપતાં કહ્યું કે, સિંદૂર વન એક શૌર્યનું પ્રતીક બની રહેશે
કેમ કે અત્યારે વન વિકસાવવામાં આવશે અને બીજા તબક્કામાં ભારતની લશ્કરની તાકાત સમાન
હવાઇજહાજ, નેવી, લશ્કર, બી.એસ.એફ.ની થીમ આધારિત ચારેય પાંખના આધુનિક સાધનો મૂકવામાં આવશે. અહીં આવનારા
પર્યટકોને વન્ય સંપદાની સાથે આઇ.એન.એસ. વિક્રાંત, એસ-400 મિસાઇલ, ડ્રોન, રફાલ જેવા લડાયક
સાધનોની થીમ જોવા મળશે. કાશ્મીર, પહેલગામ, પુલવામાની થીમ બનાવવાની મંજૂરી લેવામાં આવી છે જે આવી જતાં તેના આધારિત થીમ
પણ જોવા મળશે. પ્રથમ તબક્કે કેટલાના ખર્ચે વન વિકસાવવામાં આવશે એ સવાલ સામે તેમણે જણાવ્યું
કે, પહેલા તબક્કામાં રૂા. બે કરોડ ખર્ચાશે, બીજા તબક્કાના આયોજન માટેની ગ્રાંટ માગવામાં આવશે. કચ્છની સ્થાનિક વનસ્પતિ
વચ્ચેથી પસાર થતા પ્રવાસીઓને વધુ આનંદ થાય એ માટે અલાયદા વોકિંગ ટ્રેકની વ્યવસ્થા કરવામાં
આવશે. શૌર્ય થીમ પર જ પ્રવેશદ્વાર બનાવવામાં આવશે. 80 હજાર વૃક્ષનાં કારણે શુદ્ધ
વાતાવરણ-મોટા પ્રમાણમાં ઓક્સિજન પણ શહેરમાં પેદા થશે. બાળકોને મનોરંજન મળે તેવા રમત-ગમતનાં
સાધનોની વ્યવસ્થા કરવામાં આવશે. અલગ પ્રકારના `માઇક્રો ફોરેસ્ટ' પદ્ધતિએ નિર્માણ પામનારા આ સિંદૂરવનમાં નાના વન્ય પ્રાણી-પક્ષીઓ પોતાના ઘર
બનાવશે. 28મીએ બપોરે
2.30 વાગ્યે સંભવત: ભૂમિપૂજન થાય
તેવી માહિતી તેમણે આપી હતી.