• શુક્રવાર, 27 જૂન, 2025

એટલું કરજે હે ઇશ્વર... કચ્છ પર વિકાસનાં વાદળ વરસે નિરંતર

                                   અષાઢ આયો, મનકે ભાયો, અભ તાં વડરે છાયો, નઉં વરે કચ્છડે જો આયો, મુંજો મિઠડો મેહુલો આયો...

તંત્રી સ્થાનેથી.. : દીપક માંકડ : અષાઢનાં આગમન સાથે જ કચ્છીઓનાં મન પુલક્તિ બને છે. ઉનાળાની ભીષણ ગરમીમાં તપેલી ધરતી અને જનજન વરસાદની હેલીની રાહ જોતા હોય... ને આષાઢી બીજના શુકન સચવાય એટલે ચોમેર આનંદની લહેર ફરી વળે. કચ્છી નવાં વર્ષનાં આગમન વખતે વરસાદની જ વાત હોય... એનું સબળ કારણ એ કે, કચ્છની સંસ્કૃતિ, લોકજીવનના સુખ-દુ:ખ મેઘરાજાની મહેરબાની પર આધારિત હોય છે. એટલે જ કચ્છને મેઘતૃષ્ણાનો મુલક કહેવાયો છે. હવે નર્મદાનાં નીર કચ્છની દૂરસુદૂર પથરાયેલા જિલ્લાને નવપલ્લવિત કરી રહ્યાં છે. આવનારાં વર્ષોમાં ડેમ, તળાવો, નાનાં -મોટાં જળાશયો નર્મદાનાં નીરથી ભરાવા માંડશે. વિકાસની ભરતી ક્ષિતિજે ઘૂઘવી રહી છે ને તેનાં મોજાં અનુભવાતાં થયાં છે. આવા રૂડા સમયે આવેલી આષાઢી બીજનું મહત્ત્વએ અદકેરું છે. ચાર વર્ષ બાદ ગુજરાતના નાથ એવા મુખ્યમંત્રી કચ્છના સાવ છેવાડાના સીમાવર્તી ગામમાં રાતવાસો કરીને નવાં વર્ષનાં પોખણા કરશે અને ભુજ શહેરમાં  હમીરસરના કાંઠે કાર્નિવલમાં હાજરી આપીને લોક ઉત્સવમાં સહભાગી બનશે. નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન બનીને દિલ્હી ગયા ત્યાં સુધી લગાતાર આષાઢી બીજે કચ્છ આવતા રહ્યા. 2005થી 2013 સુધી કાર્નિવલનું આયોજન નિરંતર થતું હતું. આ વખતે જનપ્રિય સાંસદ વિનોદ ચાવડાએ પહેલ કરી અને ભૂપેન્દ્રભાઇ પટેલે કચ્છનું નિમંત્રણ સ્વીકાર્યું છે. કચ્છ સમગ્ર ગુજરાતનો જ નહીં દેશનો અતિ વિશિષ્ટ પ્રદેશ છે. ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બરોબર એક મહિના પહેલાં 26મી મેએ ભુજ આવ્યા હતા, ત્યારે એક લાખથી વધુની મેદની વચ્ચે ભરી સભામાં કચ્છીઓને આષાઢી બીજની આગોતરી  શુભેચ્છા પાઠવી હતી. શ્રી મોદીએ કચ્છ સાથેનો જૂનો નાતો યાદ કરતાં કહ્યું હતું, આ ધરતીનો ઇતિહાસ, સંસ્કૃતિ, પ્રકૃતિ બધું વિશિષ્ટ છે. એક સમયે પલાયન (હિજરત) માટે મશહૂર કચ્છ હવે બહારના શ્રમિકોથી લઇને ઉદ્યોગપતિઓ માટે આજીવિકા - જંગી આમદનીનું મથક બન્યું છે. મોદી મુખ્યમંત્રી હતા એ વખતે તેમણે શરૂ કરાવેલી કાર્નિવલની પહેલ આ વખતે સંસદસભ્યે ઉપાડી લીધી છે. હકીકતમાં કાર્નિવલને આષાઢી બીજની ઉજવણી સાથે વણી લેવાની જરૂર છે. આ જવાબદારી નગરપાલિકા ઉઠાવી લે, ઠરાવ પસાર કરીને ભુજનાં વાર્ષિક આયોજનમાં વણી લે એ જરૂરી છે. ઉત્સવો અને તહેવારો આપણી સંસ્કૃતિ-પરંપરાનું પોત મજબૂત કરે છે. નવી પેઢી તેની સાક્ષી બને, સામેલ થાય એ ખૂબ જરૂરી છે. કચ્છનાં ગામડાંમાં આજે પણ આષાઢી બીજની ઉજવણીની પરંપરા જળવાયેલી છે. માત્ર ગ્રામીણ વિસ્તાર જ જૂની પરંપરા સાચવે છે એવું નથી. કચ્છી માડુ જ્યાં વસ્યો છે ત્યાં નવું વર્ષ મનાવે છે. મુંબઇ, કોલકાતામાં કાર્યક્રમો યોજાય છે. હેમરાજ શાહ દ્વારા અપાતા કચ્છ શક્તિ એવોર્ડ મુંબઇમાં આષાઢી બીજની ઉજવણીનું પ્રતીક બની રહ્યા છે. આષાઢી બીજને વરસાદનાં આગમન સાથે સંબંધ છે. ઇશ્વરકૃપાથી કચ્છના વરસો સારાં જઇ રહ્યાં છે. આ વખતે પણ જેઠ માસમાં જ ચાર દિવસ વરસાદી માહોલ રહ્યો અને બેથી પાંચ ઇંચ પાણી વરસી ચૂક્યું છે. મેઘરાજા આખું ચોમાસું સમયાંતરે વરસતા રહે, નદી-નાળાં, ડેમ-તળાવો તરબતર થાય એવી ઉપરવાળાને પ્રાર્થના કરીએ. કચ્છ પરિવર્તનના પ્રવાહમાં સામેલ થઇ ચૂક્યું છે. સારા વરસાદ, નર્મદાનાં પાણીની ઉપલબ્ધિએ ખેડૂતો, પશુપાલકો ઉપરાંત નાના-મોટા વ્યવસાયીઓ માટે વિકાસની તક ઊભી કરી છે. ઔદ્યોગિક ક્ષેત્રે આ જિલ્લો ગુજરાતમાં મોખરાનું સ્થાન લઇ રહ્યો છે. સમયાંતરે એ વિશે આ સ્થાને ચર્ચા થતી રહે છે. પ્રવાસન મોરચે કચ્છે કાઠું કાઢ્યું છે, પણ હજુ સુરેખ આયોજન સાથે પ્રવાસન બારેમાસ ધમધમતું રહે એવા પ્રયાસની આવશ્યકતા છે. કચ્છમિત્રએ `360 ડિગ્રી કચ્છ'ના અંતર્ગત સર્વાંગી વિકાસની ઝુંબેશ આદરી છે. બદલાતા કચ્છના નવા મિજાજનાં દર્શન આગામી 20મી જુલાઇએ કચ્છમિત્રના 79મા જન્મદિનની વિશેષ પૂર્તિમાં થશે. મુલકનો મેકઓવર વધુ ગતિશીલ બની શકે. ગાંધીધામને મહાનગરપાલિકા મંજૂર થઇ છે. એના અમલીકરણમાં ઝડપની જરૂર છે. ધોરડો સંપૂર્ણ સૌર ઊર્જા આધારિત ગામ બન્યું એને બીજાં ગામો પણ અનુસરી શકે. 134 ગ્રામ પંચાયતોને નવા સુકાની મળ્યા છે. નવી ટીમ વિકાસની પ્રક્રિયામાં  સામેલ થઇને કચ્છને આગળ વધારવામાં મજબૂત ભૂમિકા ભજવી શકે છે. કચ્છને બદલાવવા માટે પાયાનાં સ્તરથી કામ કરવું પડશે. પર્યાવરણ, જળસંચય અગત્યના મુદ્દા છે. સઘન વૃક્ષારોપણ, ચેકડેમ, બોર - કૂવા રિચાર્જની કામગીરી યુદ્ધનાં ધોરણે હાથ ધરવામાં ઉદ્યોગો ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે. એ જ રીતે, માનવ સંસાધન વિકાસ માટે શિક્ષણ અને આરોગ્ય માળખું સુદૃઢ બનાવવાની પણ એટલી જ જરૂર છે. શૈક્ષણિક વિકાસની વાત કરીએ તો થોડા દિવસો પહેલાં જ કચ્છ યુનિવર્સિટીને `નેક'ની માન્યતા મળી છે. આ મોટી સફળતા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇએ કચ્છના શિક્ષકોની ખાલી રહેલી જગ્યાઓ પૂરવાના પેચીદા પ્રશ્નના પ્રતિસાદરૂપે સ્થાનિક ભરતીનો  ઉમદા નિર્ણય લીધો છે, તેમાં કચ્છનાં જ યુવક-યુવતીઓને પ્રાધાન્ય અપાય એવી જોગવાઇ થાય તો જ કચ્છને સાચો ફાયદો મળશે. આ મુદ્દો જનપ્રતિનિધિઓએ ઉપાડી લેવો જોઇએ. કેમ કે, કચ્છમાં 10 વર્ષ રહેવાના બોન્ડ સાથે કચ્છ બહારના ઉમેદવારો નોકરી મેળવી લેશે. ભય એ રહેશે કે, અગાઉની જેમ આ નિયમમાં છૂટછાટ મેળવીને એકાએક શિક્ષકો કચ્છ બહાર પોતાની પસંદગીની જગ્યાએ બદલી કરાવી લેશે. કચ્છમાં સ્નાતક-અનુસ્નાતક થયેલા ઉમેદવારો પૂરી નિષ્ઠાથી વિદ્યાર્થીઓને ભણાવશે, તેમની કારકિર્દીનું  ઘડતર કરશે. આષાઢી બીજના અવસરે  દેશ-વિદેશમાં વસતા કચ્છી ભાઇ-બહેનોને નવાં વરસનાં અભિનંદન. આ અવસરે ઇશ્વરને પ્રાર્થના કરીએ કે, કચ્છની પ્રગતિ નિરંતર થતી રહે, સર્વાંગી વિકાસથી જનજન સુખી થાય, કોમી ઐક્ય બળવત્તર બને, ખેતર-મેદાનોમાં લીલક લહેરાતી રહે, મેઘરાજા એટલી મહેર વરસાવે કે, કચ્છનું વરસ સુધી જાય. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd