ભુજ, તા. 25 : કચ્છમાં ચાર દિવસ માટે ગરમ-ભેજવાળા પવન ફૂંકાય
તેવી હવામાન વિભાગે કરેલી આગાહી વચ્ચે આજે સવારથી વેગીલો વાયરો ફૂંકાતાં ધૂળની
ડમરીઓ ઊડી હતી. ગરમ અને ભેજવાળા પવનોએ વાતાવરણમાં ઉકળાટ અને અકળામણ વધારી હતી.
મહત્તમ તાપમાનમાં એકથી દોઢ ડિગ્રીનો ઘટાડો થવા છતાં લોકો ઉકળાટનાં કારણે
આકુળવ્યાકુળ જોવા મળ્યા હતા. અંજાર - ગાંધીધામમાં 39.7, ભુજમાં
37.6, કંડલા
પોર્ટમાં 36 અને
નલિયામાં 35 ડિગ્રી
મહત્તમ તાપમાન સામે લઘુતમ પારો 27થી 28 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો.
સરેરાશ 11થી
16 કિ.મી.ની
ઝડપે ફૂંકાયેલા પવને તાપમાંથી થોડી રાહત આપી, પણ ભેજનાં
પ્રમાણનાં કારણે ઉકળાટની અનુભૂતિ વ્યાપક પ્રમાણમાં થઈ હતી. હવામાન વિભાગે
વાતાવરણમાં મોટા ફેરફારની શક્યતા નકારી ગરમ અને ભેજવાળા પવનનાં કારણે અકળામણ
અનુભવાશે તેવી આગાહી કરી છે.