ગાંધીધામ, તા. 25 : આદિપુરમાં લુણંગ દેવ માર્ગ ના ડિવાઇડરમાં કટ
રાખવાના મુદ્દે લોકોએ ચક્કાજામ કરતા થોડીવાર માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો અને
ટ્રાફિકજામ થયો હતો. લોકોના વિરોધ પછી મહાનગરપાલિકાના અધિકારીઓએ 10 ફૂટ
નો કટ આપતા મામલો થાળે પડ્યો હતો. ઘોડા ચોકીથી અંજાર તરફ જતા લુણંગ દેવ માર્ગ નું
નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે આ રોડના ડિવાઇડરમાં બે કટ આપવામાં આવ્યા હતા અને
ત્રીજો કટ આપવા માટેની માંગ થઈ રહી હતી પરંતુ વહીવટી તંત્ર દ્વારા તે બાબતે કોઈ
નિર્ણય લેવામાં ન આવતા સોમવારે સવારે લોકોએ રોડ ચકાજામ કર્યો હતો. થોડીવાર માટે
એસટી બસ સહિતના વાહનો કતાર બંધ ઊભા રહી ગયા હતા અને ટ્રાફિકજામ થયો હતો.
મહાનગરપાલિકાના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને લોકોની માંગણી સ્વીકારીને અહીં
ડિવાઈડરમાં 10 ફૂટનો
કટ આપવામાં આવતા આખો મામલો થાળે પડ્યો હતો. અહીં ફેબ્રુઆરી-માર્ચ 2025 માં
દબાણ ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારથી અહીં નવો માર્ગ બનાવવાની વાત હતી
ત્યારબાદ ફરી એક વખત મોટી દબાણ ઝુંબેશ હાથ ધરીને ધાર્મિક સહિતના તમામ દબાણો દૂર
કર્યા હતા. ઘણો લાંબો સમય થઈ ગયો છે તેમ
છતાં માર્ગ નું કામ પૂર્ણ થયું નથી. ચોમાસા પહેલા આ માર્ગની કામગીરી પૂર્ણ કરવામાં
આવે તે પછી જરૂરી છે ટાગોર રોડ થી ઘોડા ચોકી અને ત્યાંથી અંજાર તરફનો ટ્રાફિક
અહીંથી જ પસાર થાય છે તેવામાં રોડનું કામ ઝડપથી પૂર્ણ થાય તેવી માંગ લોકો કરી
રહ્યા છે.