ગાંધીધામ, તા. 19 : કચ્છમાં કંડલા અને મુંદરા બંદરેથી
આયાત-નિકાસ થતા કાર્ગોનું રેલ મારફત પરિવહન થાય છે,
પરંતુ હવે ડોમેસ્ટિક માલનું પણ કચ્છથી દેશના વિવિધ શહેર સુધી પહોંચાડવા
માટે સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન દ્વારા ગાંધીધામ રેલવે ગુડ્ઝ શેડથી ડબલ ડેકર કન્ટેનર ટ્રેનની સેવાનો આરંભ કરાયો હતો.
આ સુવિધા થકી કચ્છથી સ્થાનિક માલ દેશના વિવિધ
શહેરોમાં ઓછા દરે ઝડપી પહોંચી શકશે. ભવિષ્યમાં આ ટ્રેન સેવાનો વ્યાપ વધારવાની નેમ આ
વેળાએ વ્યક્ત કરવામાં આવી હતી. ભારતના લોજિસ્ટિક
અને રેલવે માલ પરિવહનના ક્ષેત્રમાં એક ઐતિહાસિક
ક્ષણનું સાક્ષી ગાંધીધામ બન્યું હતું. સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન દ્વારા રેલવેના સહયોગથી ડબલ ડેકર કન્ટેનર ટ્રેનને પ્રસ્થાન
કરાવાયું હતું. કેન્દ્રીય ભંડારણ નિગમના નિર્દેશક સેમ્યુઅલ પ્રવીણકુમારે જણાવ્યું હતું કે,
ડબલ ડેકર કન્ટેનર ટ્રેનની શરૂઆત માત્ર સંચાલક ઉપલબ્ધી જ નહીં, પણ
ભારતના લોજિસ્ટિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આગળ લઈ
જવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું હોવાની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું
હતું કે, રેલવે ગુડ્ઝ શેડ ખાતે ગોદામની પણ સુવિધા હોવાના કારણે સંગ્રહ કરીને ટ્રેન
મારફત માલ પરિવહન વેપારીઓ માટે સરળ બનશે. 40 ફૂટના 90 કન્ટેનર સાથેની આ ટ્રેનમાં મસૂર દાળ, કાગળ, બૂટ સહિતનો 3000 મેટ્રિક ટન કાર્ગો કન્ટેનર
ટ્રેન મારફત રવાના થઈ શકશે. જો આગામી સમયમાં મહિનાની ત્રણથી ચાર રેક ગાંધીધામથી દોડાવવાનું
આયોજન હોવાની તેમણે માહિતી આપી હતી. એરિયા રેલવે મેનેજર આશિષ ધાનિયાએ સી.ડબલ્યુ.સી.ની આ પહેલમાં ભારતીય રેલવે સંપૂર્ણ
સહયોગી હોવાની નેમ વ્યક્ત કરી હતી. આ પ્રકારની
પરિયોજના રેલવેના માધ્યમથી ગ્રીન અને
ઓછા દરન લોજિસ્ટિક નિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે, તેવું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, કંડલા-મુંદરાથી હજારો ટ્રક જાય છે, ત્યારે આ કન્ટેનર
ટ્રેનથી પરિવહન ઝડપી બનશે અને કાર્બન ઉત્સર્જનમાં પણ મહત્તમ ઘટાડો થશે. ડેડીકેટેડ ફ્રેઈટ
કોરિડોરથી કન્ટેનર ટ્રેન રવાના થશે, જેથી 24 કલાકમાં ટ્રેન દિલ્હી પહોંચશે
તેવું ઉમેર્યું હતું. આ વેળાએ રૂપેન્દ્ર શર્મા, જે. નક્કુરાસુ, પ્રિન્સકુમાર, ધીરજ શર્મા, વિશાંત
સિંહ, વિક્રમ સિંહ સહિતના
અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.