નવી દિલ્હી, તા.3: સુપ્રીમ કોર્ટ
રાહદારીઓની સલામતી માટે કેન્દ્ર સરકારને મહત્ત્વનો નિર્દેશ આપતા કહ્યું હતું કે, જ્યાં પણ સડક હોય ત્યાં પગપાળા ચાલતા લોકો માટે
દબાણમુક્ત જગ્યા સુનિશ્ચિત થવી જોઇએ. જસ્ટિસ પી.એસ. નરસિંહા અને આલોક અરાઘેની પીઠે
કેન્દ્ર સરકાર વતી પેશ થયેલા એડિશનલ સોલિસિટર જનરલ કે.એમ. નરરાજને કહ્યું હતું કે તે
સંબંધિત અધિકારીઓને એ ખાતરી કરવાનો નિર્દેશ આપે કે પગપાળા જતાં લોકો માટે બનેલી જગ્યાં-ફૂટપાથ
ઉપર અતિક્રમણ ન થાય અને તેને મોટરગાડીની લેનથી સારી રીતે અલગ કરવામાં આવે. અદાલતે આગળ
કહ્યું હતું કે, કોઇ મોટા રોકાણ કે બાંધકામ વગર ફક્ત એટલું સુનિશ્ચિત
કરો કે પગપાળા ચાલવાની જગ્યાનું સીમાંકન થઇ જાય. ત્યાં દોરડાં બાંધીને અથવા તો અન્ય
કોઇ પ્રકારે દબાણ ન થાયે તે સુનિશ્ચિત થવું જોઇએ. અદાલતે અધિકારીઓને આના માટે નિર્દેશ
આપવા બે અઠવાડિયાનો સમય આપ્યો હતો. સાથો સાથ ઉમેર્યુ હતું કે, રાહદારીઓને ભરોસો રહેવો જોઇએ કે ફૂટપાથ તેમના ચાલવા માટે બનેલી જગ્યા છે અને
કોઇ પ્રકારના ખતરા વગર તેઓ ત્યાં આઝાદીથી ચાલી શકે છે. આ મામલે વધુ સુનાવણી બે સપ્તાહ
બાદ નક્કી થઇ છે.