નવી દિલ્હી, તા. 3 : રામમંદિર
ચડાવા ચોરીના મામલે લોકસભામાં વિપક્ષી સાંસદોના સોમવારે સતત હંગામાનાં પગલે ગૃહની કાર્યવાહી
આવતીકાલ મંગળવાર સુધી સ્થગિત કરી દેવાઈ હતી. એ અગાઉ,
લોકસભામાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સહિત ન્યાયમૂર્તિઓની સંખ્યા
34થી વધારીને 38 કરવાનો ખરડો ચર્ચા વિના પસાર
કરી દેવાયો હતો. વિપક્ષી સાંસદોએ પ્રશ્નકાળ શરૂ થતાં જ નીટ પેપર લીકના વિરોધમાં પ્રદર્શન
કરનાર છાત્રો પર પોલીસ કાર્યવાહી અને રામમંદિર ચડાવા ચોરી મુદ્દે હંગામો શરૂ કરી દીધો
હતો. ત્યારબાદ, ગૃહની કાર્યવાહી બપોરે
બે વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી. બે વાગ્યે કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી ધમાલ શરૂ
થઈ જતાં લોકસભા મંગળવાર સુધી સ્થગિત કરી દેવી પડી હતી. રાજ્યસભામાં પણ બે વાગ્યા સુધી
ગૃહ સ્થગિત કરાયું હતું. બે વાગ્યા પછી કાર્યવાહી શરૂ થઈ તો વિપક્ષી સભ્યો નારેબાજી
કરવા લાગ્યા હતા. ગૃહમાં એમએસએમઈ વિકાસ સુધારા ખરડા પર ચર્ચા થઈ રહી હતી. વિપક્ષી સાંસદોએ
પોલીસ કાર્યવાહીના મુદ્દે દેશના ગૃહમંત્રી અમિત શાહ ગૃહમાં આવીને નિવેદન આપે તેવી માંગ
કરતાં નારેબાજી કરવા માંડી હતી. વિપક્ષના સભ્યોએ વટહુકમ લાવવા વિરુદ્ધ એક વૈધાનિક પ્રસ્તાવ
રજૂ કર્યો હતો, જેને ધ્વનિમતથી ફગાવી દેવાયો હતો. લોકસભામાં કેન્દ્રીય
કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે સુપ્રીમ કોર્ટમાં ન્યાયમૂર્તિઓની સંખ્યા વધારવા માટેનું
વિધેયક રજૂ કર્યું હતું. પીઠાસીન અધિકારીઓએ સભ્યોને પ્રસ્તાવ પર બોલવાનો આગ્રહ કર્યો
હતો, પરંતુ વિપક્ષે નારેબાજી જારી રાખતાં વિધેયક મતદાન માટે રખાયું
હતું અને પછી પસાર કરી દેવાયું હતું.