તેહરાન, તા. 18 : મધ્ય-પૂર્વ સહિત દુનિયાભરમાં
ભારે ઉચાટ ફેલાવનાર સંઘર્ષની આગ હવે બેકાબૂ બનતી જાય છે, ત્યારે ઇઝરાયલની આક્રમકતા સામે માથું ઊંચકતાં
ઇરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા ખોમૈનીએ ગઇકાલે મંગળવારની મોડી રાત્રે ઇઝરાયલ સામે વિધિવત
યુદ્ધનું એલાન કરી દીધું હતું. અમે શરણે નહીં થઇએ. અમેરિકી દખલ મંજૂર નથી તેવું તેમણે
કહી દીધું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીના જવાબમાં ખુલ્લી ચેતવણી
આપતાં ઇરાની સુપ્રીમ લીડર ખોમૈનીએ કહી દીધું હતું કે, અમેરિકા
સાંભળી લે અમે શરણે થવાના નથી. જો ઇઝરાયલ સામે યુદ્ધમાં અમેરિકાની સેના દખલ દેશે તો
તેનાં પરિણામ ખરાબ હશે, તેવી ચેતવણી ખોમૈનીએ આપી દીધી હતી. અમે
`આતંકવાદી' ઇઝરાયલને આકરો જવાબ દઇશું. કોઇ દયા નહીં દેખાડીએ
તેવાં `એકસ'
પરથી ખોમૈનીના એલાન બાદ ઇરાને ઇઝરાયલ પર 25 મિસાઇલ છોડીને હુમલા શરૂ કર્યા
હતા. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડકોર્પ્સ તરફથી જણાવાયું હતું કે, બુધવારની સવારે ઇઝરાયલ પર ફતેહ મિસાઇલ છોડાયું
હતું, આ યુદ્ધમાં ફતેહ-1 મિસાઇલથી હુમલો પહેલીવાર કરાયો છે.ફતેહ
મિસાઇલ હાઇપરસોનિક છે. મતલબ કે તે અવાજની ગતિ કરતાં પાંચગણી વધુ ગતિએ ઊડી શકે છે તેવું
જણાવાયું હતું. ફતેહ મિસાઇલે ઇઝરાયલની હવાઇ
સુરક્ષા પ્રણાલી (એરડિફેન્સ સિસ્ટમ)ને ભેદી નાખી હતી અને તેના સુરક્ષિત ઠેકાણાંઓને
નિશાન બનાવ્યા હતો. દરમ્યાન, અમેરિકા
સ્થિત એક માનવ અધિકાર સંગઠને જણાવ્યું હતું કે, યુદ્ધના છ દિવસ
દરમ્યાન ઇરાનમાં મોતનો આંકડો 585 થઇ ચૂકયો છે, તો 1326 લોકો ઘાયલ
થઇ ચૂકયા છે. બીજી તરફ, ઇઝરાયલ સંરક્ષણ
દળ (આઇડીએફ)ના પ્રવકતા બ્રિગેડિયર જનરલ એ.પી. ડેફિને પત્રકાર પરિષદને સંબોધન કરતાં
કહ્યું હતું કે, છ દિવસમાં ઇઝરાયલનાં વાયુદળે ઇરાનનાં વિવિધ સ્થળો
પર 1100થી વધુ હુમલા કર્યા છે.